નાશિક: રાજ્યની ૨૪૬ નગરપાલિકા અને ૪૨ નગર પંચાયતોના પરિણામો રવિવારે જાહેર થયા. આ ચૂંટણીમાં મહાયુતિએ જોરદાર કમબેક કરી છે. ભાજપે સૌથી વધુ બેઠકો પર જીત હાંસલ કરી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના બીજા સ્થાને છે અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ ત્રીજા સ્થાને છે. નાશિકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આશ્ચર્યજનક પરિણામો નોંધાવ્યા છે. ભગુર નગર પંચાયતમાં એનસીપી એ સત્તા મેળવી છે અને શિંદેની સેનાનો પરાજય થયો છે.
નાશિકમાં આવેલું ભગુર સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના ગામ તરીકે ઓળખાય છે. છેલ્લા ૨૭ વર્ષથી આ ગામમાં વિજય કરંજકર અને શિવસેના સત્તામાં હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં કરંજકર નારાજ થયા હતા અને તેઓ ઠાકરેને છોડીને શિંદે સેનામાં જોડાયા હતા.
શિવસેનાની જેમ જ અહીંની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. પ્રેરણા બલકવડેએ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસનો પક્ષ પસંદ કર્યો હતો. આ મતવિસ્તાર અનામત હોવાને કારણે, ઈચ્છા હોવા છતાં પ્રેરણા બલકવડે વિધાનસભાની ચૂંટણી લડી શક્યા નહીં, તેથી બલકવડેએ નગર પંચાયતની ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.
કરંજકર વિરુદ્ધ બલકવડે મુકાબલામાં બલકવડે જીત્યા હતા. અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બલકવડેને ૫૪૦૭ મત મળ્યા, જ્યારે અનિતા કરંજકરને ૩,૪૯૪ મત મળ્યા. છેલ્લા ૨૭ વર્ષથી ભગુર નગર પરિષદમાં શિવસેના સત્તામાં છે ત્યારે શિવસેના એક હતી, પરંતુ હવે ભગુરના લોકોએ શિંદેના નેતૃત્વમાં શિવસેનાને નકારી કાઢી હતી.