અમદાવાદઃ ભાવનગર રેલવે મંડળના બે લોકો પાયલટે સતર્કતા વાપરી છ સિંહને બચાવ્યા હતા. અનીશ શેખ અને એસોસિયેટ લોકો પાયલટ ફરમાન હુસૈને સાસણગીર-કાંસિયાનેસ સેક્શન પર ટ્રેક પર આવતા છ સિંહને જોયા હતા. વેરાવળ જૂનાગઢ પેસેન્જર ટ્રેનના આ બન્ને પાયલટે સમયસર ઈમરજન્સી બ્રેક મારી ગાડીને રોકી દીધી હતી. આ પ્રસંશનીય કામગીરી બદલ રેલવે સહિત સહુ કોઈ બન્નેની સરાહના કરતા જોવા મળ્યા હતા.
ભાવનગર મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારે અનીશ શેખ અને સહાયક લોકો પાયલટ ફરમાન હુસૈને સાસણગીર–કાંસિયાનેશ સેક્શન પર કિમી નં. 112/7–112/6 વચ્ચે રેલવે ટ્રેક પર 06 સિંહોને જોયા હતા. ત્યારબાદ તેમણે ટ્રેન નં. 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જર ગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી સુરક્ષિત રીતે રોકી દીધી હતી.
ત્યારબાદ ટ્રેન મેનેજરને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે સિંહોને સુરક્ષિત રીતે ટ્રેક પરથી હટાવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ સમાન્ય થયા બાદ ટ્રેન ચલાવવાની પરવાનગી મળતા ટ્રેન સાવધાનીપૂર્વક ચલાવવામાં આવી હતી.
બે દિવસ પહેલા રાજધાની એક્સપ્રેસની હડફેટે આસામમાં સાત હાથીના મોત નિપજ્યાની કરૂણ ઘટના ઘટી હતી. રેલવે ટ્રેક હડફેટે આવતા સિંહોના મૃત્યુ પામવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. ત્યારે પાયલટની સતર્કતા મહત્વનો ભાગ ભજવે છે.