અમદાવાદઃ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક બે દિવસ પહેલા શરૂ થયું છે, જેનાથી અમદાવાદને વધારાની એર કનેક્ટિવિટી મળી, ઇન્ડિગો અને સ્ટાર એર દ્વારા નવી મુંબઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વચ્ચે ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી છે અને હવે ત્રીજી એરલાઇન, અકાસા એર, નવી મુંબઈ-અમદાવાદ રૂટ પર ફ્લાઇટ સેવાઓ શરૂ કરવા માટે પણ તૈયાર છે, તેવી માહિતી મળી હતી.
એરલાઇને 31 ડિસેમ્બરથી નવી મુંબઈથી અમદાવાદ માટે વન-વે સાપ્તાહિક શરૂ કરવાનું નક્કી કર્યું છે. એરલાઇન અનુસાર આ સેવા શરૂઆતમાં દર બુધવારે કાર્યરત થશે, જેનું ભાડું લગભગ રૂ. 3000 આસપાસ રહેશે.
અકાસા એરની વેબસાઇટ મુજબ, ફ્લાઇટ નવી મુંબઈથી 17:40 વાગ્યે ઉપડશે અને 18:50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જેનો ફ્લાઇટ સમયગાળો આશરે 1 કલાક અને 10 મિનિટનો હશે.
અમદાવાદ ઉપરાંત, અકાસા એર નવી મુંબઈથી દિલ્હી, ગોવા અને કોચી માટે પણ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એરલાઇને જણાવ્યું હતું કે તે નવા એરપોર્ટથી તેની કામગીરીમાં ક્રમશઃ વધારો કરશે.