(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શુક્રવારે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની રાષ્ટ્રવાદીને ભાયખલામાં મોટો ફટકો પડ્યો હતો. વોર્ડ ૨૧૧ ભાયખલામાંથી રાષ્ટ્રવાદીના ઉમેદવાર સુફિયાન અન્સારીએ કોઈને પણ જાણ નહીં કરતા ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
ઉદ્ધવની યુબીટી-મનસે અને રાષ્ટ્રવાદીમાં યુતિ થઈ છે, જેમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ઉમેદવારે શુક્રવારે જાણ કર્યા વગર બારોબાર ઉમેદવારી પાછી ખેંચી લેતા ખળભળાટ મચી ગયો હતો. અચાનક ઉમેદવારે આ પગલું લેતા પક્ષને મુંબઈમાં આ બીજો ફટકો પડયો છે. વોર્ડ નંબર ૨૧૧માં આખું ચિત્ર બદલાઈ ગયું છે.
યુબીટી- રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ઉમેદવારે અરજી પાછી ખેંચી લેતા ચૂંટણીમાં તેમના તરફથી કોઈ ઉમેદવાર નથી. તો મહાયુતિમાંથી પણ અહીં કોઈ ઉમેદવાર નથી. ભાજપના ઉમેદવારની અરજી પહેલા જ રદ થઈ ગઈ હતી અને હવે આ વોર્ડમાં ૨૦૧૭માં આ વોર્ડમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલા હાલ વિધાનસભ્ય રહેલા રઈસ શેખના આસિસ્ટન્ટ વકાર ખાન કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર મેદાનમાં બચ્યો છે.
શરદ પવારના રાષ્ટ્રવાદીને કારણે જોકે મુંબઈમાં બીજો ફટકો પડયો છે હવે તેમના ઉમેદવારની સંખ્યા પણ નવ પર આવી ગઈ છે. પહેલાથી મુંબઈમાં માંડ ૧૧ બેઠક પર ચૂંટણી લડનારા રાષ્ટ્રવાદી માટે આ આંકડો ચિંતાજનક બની ગયો છે.
આ ઓછું હોય તેમ વોર્ડ નંબર ૧૪૦નો (શિવાજી નગર-માનખુર્દ)વોર્ડ પણ શરદ પવારના રાષ્ટ્રવાદનેગયો હતો અને અહીંથી તેમના સત્તાવાર ઉમેદવાર સંજય કાંબળે છે પણ અહીંથી ઠાકરેની શિવસેનાના ઉમેદવારને પણ એબી ફોર્મ આપવામાં આવ્યું હતું અને તેણે પણ ફોર્મ ભર્યું હતું અને તેની અરજી પણ માન્ય રાખવામાં આવી છે. ત્યારે આ વોર્ડમાં યુતિના જ બે ઉમેદવાર ચૂંટણીમાં સામ-સામે થઈ જતા વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ છે.