નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર (Mustafizur) રહમાનને આગામી આઇપીએલમાં રમાડવા સામે પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે એ વચ્ચે એક વેબસાઇટના અહેવાલ મુજબ બીસીસીઆઇ (bcci)ના એક અધિકારીનું એવું કથિત નિવેદન વાઇરલ થયું છે કે ` મુસ્તફિઝુર આઇપીએલમાં જરૂર રમશે. તેને કેકેઆરે 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.'
આ વેબસાઇટના અહેવાલમાં બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને એવું પણ જણાવાયું હતું કે ` આપણે એ સમજવું પડશે કે અત્યારે સ્થિતિ ખૂબ નાજુક છે. અમે રાજકીય સ્થિતિઓમાં થઈ રહેલા ફેરફારને લઈને સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. આઇપીએલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાની કોઈ વાત કરાઈ હોય એવું હજી સુધી અમને કંઈ જ સાંભળવા નથી મળ્યું. એટલે જ કહું છું કે હા, મુસ્તફિઝુર રમશે. બાંગ્લાદેશ દુશ્મન દેશ નથી.'
એક તરફ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય સંબંધો તંગ થઈ ગયા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી અત્યાચાર થવા લાગ્યા છે એવા સમયે અધિકારીનું આ નિવેદન તરત જ વાઇરલ થઈ ગયું છે.
જોકે એવું પણ મનાય છે કે ખુદ મુસ્તફિઝુર જ ભારતમાં આઇપીએલ રમવા આવવાનું પસંદ નહીં કરે. એ રીતે, કેકેઆરનો તેની સાથેનો કૉન્ટ્રૅક્ટ આપોઆપ રદ થઈ જશે.