સુરતઃ શહેરમાં જાણીતા કથાકારની પુત્રીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. અલથાણ વિસ્તારમાં રહેતા કથાકારની પુત્રી ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થિનીના પિતા ધાર્મિક પ્રસંગે કથા કરવા માટે બહાર ગયા હતા અને ઘરે કોઈ હાજર નહોતું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું.
પરિવારના અન્ય સભ્યોએ જ્યારે લટકતી જોઈ ત્યારે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવેવી વિગત પ્રમાણે, વિદ્યાર્થિની આગામી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા અને મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નીટ) ની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતી. પોલીસે મૃતક વિદ્યાર્થિનીની બહેનપણીઓના નિવેદન નોંધ્યા છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે ભણતરમાં તેજસ્વી હોવા છતાં બંને મહત્વની પરીક્ષાઓ એકસાથે આવતી હોવાથી ગભરાયેલી રહેતી હતી.
વિદ્યાર્થિની તેની બહેનપણીઓને કહેતી હતી કે "બંને પરીક્ષાઓ ખૂબ નજીક છે, હું કેવી રીતે મેનેજ કરીશ? જો માર્કસ ઓછા આવશે તો શું થશે?" આ ભણતરનો ભાર અને ભવિષ્યની ચિંતા તેને ડિપ્રેશન તરફ દોરી ગઈ હતી. પરિણામે, પરીક્ષાના ડરથી તેણે આ અત્યંત આઘાતજનક પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારે જાહેર કરી હતી ગાઈડલાઈન
રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આપઘાતની સંખ્યા સતત વધી રહી છે. જેને રોકવા માટે શિક્ષણ વિભાગે તાજેતરમાં તમામ યુનિવર્સિટી, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અંતર્ગત તમામ સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવી હતી. ગાઈડલાઈન મુજબ, કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થી એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. તેમજ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. પરીક્ષા, અભ્યાસક્રમમાં ફેરફાર અને શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મેળ તે માટે ખાસ વ્યવસ્થા કરવી પડશે.
આ ઉપરાંત ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પરફોર્મન્સના આધારે અલગ પાડવા, જાહેરમાં અપમાનિત કરી શકાશે નહીં. તેનાથી વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધતો હોવાથી તેને સંપૂર્ણપણે બંધ કરવી જરૂરી છે.