નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે બુધવારે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે જણાવ્યું કે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અપીલ કરનારા યુગલે ઓછામાં ઓછા એક વર્ષના સમય માટે અલગ રહેવાની જરૂરી નથી.
હિન્દુ મેરેજ એક્ટ (HMA), 1955 મુજબ સંમતિથી છૂટાછેડાની માંગ કરનાર પતિ-પત્ની ઓછામાં ઓછા એક વર્ષ એક બીજાથી અલગ રહ્યા હોવા જોઈએ. દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ નવીન ચાવલા, ન્યાયાધીશ અનુપ જયરામ ભંભાણી અને ન્યાયાધીશ રેણુ ભટનાગરની ફૂલ બેન્ચે ખંડપીઠે જણાવ્યું હતું કે યોગ્ય કેસોમાં આ શરત માફ કરી શકાય છે, જેના માટે અરજી કરી શકાય છે.
આગાઉ ડિવિઝન બેન્ચે દ્વારા HMA હેઠળ સંમતિથી છૂટાછેડા માટે અરજી રજૂ કરતા પહેલા અલગ રહેવાના નિર્ધારિત સમયગાળા અંગે ગાઈડલાઈન્સ માટે રેફરન્સ માંગ્યો હતો, જેના જવાબમાં ફૂલ બેન્ચે આ સ્પષ્ટતા કરી હતી.
હાઈ કોર્ટે ચુકાદો આપ્યો કે HMA ની કલમ 13B(1) હેઠળ એક વર્ષના સમયગાળા માટે અલગ રહેવાની કાયદાકીય જરૂરિયાત ‘ડિરેક્ટરી’ છે અને ‘મેન્ડેટરી’ નથી, અને યોગ્ય કેસોમાં ફેમિલી કોર્ટ અથવા હાઇ કોર્ટ દ્વારા આ શરત માફ કરી શકે છે.
વૈવાહિક બંધનમાંથી મુક્તિ આપવી જોઈએ:
કોર્ટે અવલોકન કર્યું કે HMAની કલમ 14(1) અદાલતોને એક વર્ષ માટે રાહ જોવાના સમયગાળાની શરત માફ કરવાની સત્તા આપે છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે જ્યારે પતિ-પત્ની પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરે છે, ત્યારે તેમના અલગ થવાના નિર્ણય પાછળ કોઈ નક્કર કારણ હોય છે. આવા સંજોગોમાં, પતિ-પત્નીને વૈવાહિક બંધનમાંથી મુક્ત કરવાને બદલે, અનિચ્છનીય લગ્નજીવનમાં બાંધી રાખવા યોગ્ય નથી.
દિલ્હી હાઈ કોર્ટે નોંધ્યું હતું કે છુટા છેડામાં બિનજરૂરી વિલંબને કારણે પતિ કે પત્ની અથવા બંને નવા પાર્ટનર માટે સંબંધ બાંધી શકતા નથી. જેનાથી તેમના પુનર્લગ્ન સંભાવનાઓ અસર થાય છે. આવા લગ્નને બચાવવાનો પ્રયાસ કરવો સંબંધિત વ્યક્તિઓની સ્વાયત્તતા અને ગૌરવ કરતાં બાહ્ય સામાજિક ઢોંગ વધુ ગણાશે.