Tue Dec 16 2025

Logo

White Logo

ગુજરાતમાં ખનીજ ચોરોની ખેર નહી, : ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત

11 hours ago
Author: Chandrakant Kanoja
Video

ગાંધીનગર : ગુજરાતમાં ખનીજ માફિયા દ્વારા થતી ખનીજ ચોરીને અટકાવવા માટે રાજ્યના જીઓલોજી અને માઇનિંગ વિભાગના કમિશનર ધવલ પટેલે રાજ્યમાં ખનીજ પરિવહન માટે નવો પરિપત્ર અમલી બનાવ્યો છે. રાજ્યભરમાં 15 ડિસેમ્બરથી અમલી બનેલા આ પરિપત્ર અન્વયે ખનીજ પરિવહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે.

જીપીએસમાં છેડછાડ કરતા હોવાથી આકરા નિયમો લદાયા

રાજ્યભરમાં ખનીજ માફિયાઓ પર લગામ કસવા માટે આકરા નિયમો લાદવામાં આવ્યાં છે. હવે ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરાઇ છે. જો ટ્રેકિંગ સિસ્ટમમાં છેડછાડ થશે તો રોયલ્ટી બંધ કરી દેવાશે. આ ઉપરાંત જો રોયલ્ટી ધારણ જીપીએસ સિસ્ટમ બંધ કરી વાહનને અન્યત્ર રૂટ પણ ડાઇવર્ટ કરશે તો પણ તેમની રોયલ્ટી બંધ થઇ જશે. આ સાથે આકરા દંડની પણ જોગવાઇ કરાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લીઝ-રોયલ્ટી ધારકો જીપીએસમાં છેડછાડ કરતા હોવાથી આકરા નિયમો લદાયા છે. વીટીએમએસ સિસ્ટમથી મોનિટરિંગ કરવામાં આવશે.

આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિયમ ફરજિયાત

ખનીજ ચોરી પર બ્રેક લગાવવા માટે બધા જ જિલ્લામાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડની ટીમો સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત રાજ્યમાં રોયલ્ટી સાથે કાયદેસર ખનીજ પરિવહન કરતા તમામ વાહનો માટે જીપીએસ સિસ્ટમ લાગૂ કરી દેવાઇ છે. આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.   

વ્હિકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ  અમલી                                       

નોંધનીય છે કે, પહેલાથી રાજ્યમાં વીટીએમએસ સિસ્ટમ એટલે કે, વ્હિકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ અમલી હોવા છતાં મોટાભાગના વાહનો ખનીજ પરિવહન દરમિયાન તેમના માન્ય જીપીએસ ઉપકરણો બંધ કરી દેતા હોવાનો તપાસમાં ખુલાસો થતાં નવા નિયમને વધુ કડક બનાવી દેવામાં આવ્યાં છે.