Thu Jan 01 2026

Logo

White Logo

હરિયાણામાં ભાજપનો 'ગજબ' કારભારઃ : 1 લાઈબ્રેરીનું 2 પ્રધાનોએ કર્યું ઉદ્ઘાટન, જાણો શું છે મામલો?

2 days ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હી: સામાન્ય રીતે કોઈ પણ વિકાસકાર્યનું લોકાર્પણ એક જ વાર થતું હોય છે, પરંતુ ફરિદાબાદમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં નિર્મિત લાઇબ્રેરીનું એક જ દિવસે બે વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે બંને ઉદ્ઘાટન વચ્ચે માત્ર અઢી કલાકનો જ તફાવત હતો અને બંને વખતે અલગ-અલગ મંત્રીઓએ રિબન કાપી હતી. આ ઘટનાએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સંગઠનમાં રહેલા સંકલનના અભાવને જાહેરમાં લાવી દીધો છે અને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રવિવારે સવારે આ ઘટનાક્રમની શરૂઆત થઈ હતી. હરિયાણા સરકારના કેબિનેટ મંત્રી વિપુલ ગોયલ, ખાદ્ય મંત્રી રાજેશ નાગર અને રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરે સેક્ટર-12 સ્થિત ટાઉન પાર્ક પહોંચીને બપોરે 12:30 વાગ્યે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રીઓએ રિબન કાપી, ફોટા પડાવ્યા અને કાર્યકર્તાઓના ઉત્સાહ વચ્ચે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે એવું લાગતું હતું કે લોકાર્પણની વિધિ સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે.

પ્રથમ ઉદ્ઘાટનના હજુ તો અઢી કલાક જ થયા હતા ત્યાં જ કેન્દ્રીય રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર પોતાના સમર્થકો અને ધારાસભ્યો સાથે ટાઉન પાર્ક પહોંચ્યા હતા. નવાઈની વાત એ છે કે તેમના આગમન પહેલા લાઇબ્રેરીના દ્વારે ફરીથી સાફ-સફાઈ કરવામાં આવી અને નવી રિબન લગાવવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રીએ ફરીથી તે જ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું અને તકતી સામે ઉભા રહીને ફોટા પડાવ્યા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો અને મીડિયા કર્મીઓને આશ્ચર્ય થયું હતું.

આ સમગ્ર વિખવાદ પાછળ ઉદ્ઘાટન બોર્ડ જવાબદાર હોવાનું મનાય છે. બોર્ડ પર મુખ્ય અતિથિ તરીકે કૃષ્ણપાલ ગુર્જરનું નામ હતું, જ્યારે વિપુલ ગોયલ અને અન્ય નેતાઓના નામ તેની નીચે હતા. વિપુલ ગોયલે આ બાબતે કહ્યું કે જે ઉદ્ઘાટન થવાનું હતું તે થઈ ગયું છે અને તેમને બીજા ઉદ્ઘાટન વિશે કોઈ જાણકારી નથી. બીજી તરફ, કૃષ્ણપાલ ગુર્જરે જણાવ્યું કે તેઓ સરકારી પ્રોટોકોલ અને વિભાગીય સૂચના મુજબ નક્કી કરેલા સમયે જ આવ્યા હતા.

ફરિદાબાદના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ 'ક્રેડિટ વોર' હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. એક જ દિવસમાં એક જ પ્રોજેક્ટનું બે વાર લોકાર્પણ થવું એ વહીવટી તંત્ર અને પક્ષના આંતરિક જૂથવાદ તરફ આંગળી ચીંધે છે. પ્રોટોકોલ અને શ્રેય લેવાની આ લડાઈમાં વિકાસકાર્ય કરતા નેતાઓની છબિ વધુ ચર્ચાઈ રહી છે.