Thu Dec 25 2025

Logo

White Logo

મહાગઠબંધનની બેઠકોની વહેંચણીનો : ફોર્મ્યુલા નક્કી થયો

7 hours ago
Author: Vipul Vaidya
Video

એકનાથ શિંદે અને ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ વચ્ચે 5 કલાકની મેરેથોન ચર્ચા, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) પાલિકાઓમાં શિવસેના-ભાજપ જોડાણ અંતિમ તબક્કામાં

થાણે: મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના પાર્ટી વચ્ચે જોડાણનો અટકેલો ઘોડો આખરે આગળ વધવાના સંકેતો બતાવી રહ્યો છે. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ બુધવારે જોડાણની જાહેરાત કરી હતી, ત્યારે બંને પક્ષોના વિશ્ર્વસનીય સૂત્રોએ એવી માહિતી આપી હતી કે મહાયુતિની બેઠકોની વહેંચણી પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે મોડી રાત્રે થાણેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. કલ્યાણના સાંસદ ડો. શ્રીકાંત શિંદે, થાણેના સાંસદ નરેશ મ્હસ્કે, ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળે પણ બેઠકમાં હાજર હતા. એકનાથ શિંદે અને રવિન્દ્ર ચવ્હાણની હાજરીમાં ગઠબંધન માટે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા પાંચ કલાક સુધી ચાલી. સૂત્રોએ જણાવ્યું હતું કે એમએમઆર પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં ગઠબંધન બનાવવા પર સર્વસંમતિ સધાઈ હતી.

સાંસદ નરેશ મ્હસ્કેએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ચર્ચા ખૂબ જ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થઈ હતી, જેમાં રાજકીય ચર્ચાઓ ઉપરાંત ઘણા મુદ્દાઓ પર મજાક-મસ્તી થઈ હતી. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લાંબા સમય સુધીની સિદ્ધિઓ અને કાર્ય કૌશલ્યની પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં હાજર દરેક વ્યક્તિએ મોદી સાથેના પોતાના અંગત અનુભવો પણ શેર કર્યા હતા, એમ મ્હસ્કેએ જણાવ્યું હતું. મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, મીરા-ભાઈદર જેવી નગરપાલિકાઓમાં, બેઠકની વહેંચણીને લઈને શિંદે અને ભાજપ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ખેંચતાણ ચાલી રહી છે. ભાજપના નેતાઓ પણ થાણેમાં 42 બેઠકો પર આગ્રહી છે.

રવિન્દ્ર ચવ્હાણ પોતે કલ્યાણ-ડોમ્બિવલીમાં ભાજપને મેયર બનાવવા માટે સતત અપીલ કરી રહ્યા છે. આ શહેરમાં ડો. શ્રીકાંત શિંદે અને ચવ્હાણ વચ્ચે રાજકીય સ્પર્ધા ચરમસીમાએ પહોંચી ગઈ છે. વન ખાતાના પ્રધાન ગણેશ નાઈક નવી મુંબઈમાં ગઠબંધન બનાવવા તૈયાર નથી. તેમના અને શિંદે સેનાના સ્થાનિક નેતાઓ વચ્ચે કડવા સંબંધો છે. મીરા-ભાઈદર મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સામસામે આવતા જોવા મળે છે. આ પૃષ્ઠભૂમિમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ મંગળવારે મોડી રાત્રે એકનાથ શિંદેના નિવાસસ્થાને ગયા હતા અને ગઠબંધન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

ફોર્મ્યુલાનું શું થયું?

આ વખતે યોજાયેલી બેઠક બાદ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે થાણે, કલ્યાણ ડોમ્બિવલી અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના મહાનગરપાલિકાઓ વચ્ચે ગઠબંધનની જાહેરાત અંતિમ તબક્કામાં છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સમજી શકાય છે કે અહીં કોઈપણ સંજોગોમાં ગઠબંધન કરવું જ પડશે. બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી બે દિવસમાં સ્થાનિક સ્તરે વોર્ડ સ્તરના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવશે. બેઠક ફાળવણીની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. એવું કહેવાય છે કે બેઠકમાં નવી મુંબઈ અને મીરા-ભાઈદરમાં અટકેલી બેઠકોની ફાળવણી અંગે ચર્ચા ક્યારે અને કેવી રીતે શરૂ કરવી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.