અમદાવાદ/વડોદરા: ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભારતીય વિચારકોના પુસ્તકોને સમાવવામાં આવી રહ્યા છે કે જેનાથી આવનારી પેઢીમાં ભારતના સમૃદ્ધ વારસા, રીતરિવાજો અને જ્ઞાન-પરંપરાથી આવનારી પેઢીને અવગત કરી શકાય. ગુજરાતના વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પીએમ નરેન્દ્ર મોદી અને વીર સાવરકરના પ્રકરણનો અભ્યાસ કરશે. એમએસ યુનિવર્સિટીએ તેના બેચલર ઓફ આર્ટ્સ (અંગ્રેજી) માઇનર કોર્સમાં પીએમ મોદીના 'મન કી બાત' પણ સમાવેશ કર્યો છે.
મીડિયાના અહેવાલો અનુસાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાએ (Faculty of Arts) બીએ માઇનર કોર્ષની શરૂઆત કરી છે. આ કોર્સમાં 'એનાલાઈઝિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નોન-ફિક્શનલ રાઈટિંગ્સ' (Analysing and Understanding Non-fictional Writings) શીર્ષક હેઠળ પીએમ મોદી દ્વારા લખાયેલા 'જ્યોતિપુંજ' અને સાવરકરની 'ઇનસાઇડ ધ એનિમી કેમ્પ' (Inside the Enemy Camp) પુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોર્સ વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી અમલમાં મૂકવામાં આવ્યો છે.
નવા સિલેબ્સમાં કોનો સમાવેશ?
નવા સિલેબસ હેઠળ નરેન્દ્ર મોદીની ‘જ્યોતિપુંજ’ને એક જીવનચરિત્રાત્મક કૃતિ તરીકે ભણાવવામાં આવશે, જ્યારે સાવરકરની ‘ઇન્સાઇડ ધ એનિમી કેમ્પ’નો આત્મકથાત્મક રચના તરીકે સમાવેશ કરવામાં આવશે. આ સિલેબસમાં શ્રી અરવિંદ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને સ્વામી વિવેકાનંદના લેખોને પણ સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પીએમ મોદીના રેડિયો સંબોધન 'મન કી બાત'ના પસંદગીના એપિસોડ્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
શું કહેવું છે યુનિવર્સિટીનું?
એમએસયુના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર હિતેશ ડી. રવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આ સિલેબસ અંગ્રેજી અભ્યાસને ભારતની પ્રાથમિકતાઓ અનુસાર ઢાળવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ એક આત્મવિશ્વાસી ભારતીય દ્રષ્ટિકોણ છે કે જેમાં ભારતના પોતાના વિચારકો, નેતાઓ અને વિચારોને ભણાવવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ માત્ર વસાહતી યુગની સાહિત્ય પરંપરાઓના અભ્યાસ સુધી સીમિત રહી જાય નહીં.