સુરત: ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB)એ મોડી રાતે સૈયદપૂરા વિસ્તારમાં આવેલા એક મહોલ્લામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન NCBએ ઘરમાંથી આશરે 40 કિલો જેટલું અફીણ કબજે કર્યું હતું. ડ્રગ્સ માફિયાઓએ અપનાવેલા કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મળતી વિગતો અનુસાર, સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં આવેલા તુરાવા મહોલ્લામાં નેશનલ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા એક સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. NRIના લાંબા સમયથી બંધ પડેલા એક મકાનમાં NCBની ટીમે દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, તપાસ દરમિયાન NCBએ ઘરમાંથી આશરે 40 કિલો જેટલું અફીણ કબજે કર્યું હતું.
આ રેકેટની મોડસ ઓપરેન્ડી જાણીને તપાસકર્તાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તુરાવા મહોલ્લાના આ મકાનનો ઉપયોગ અફીણના ગેરકાયદેસર વ્યવહાર માટે મુખ્ય હબ તરીકે કરવામાં આવતો હતો. આરોપીઓ દ્વારા અફીણની ગોળીઓને અત્યંત ચાલાકીપૂર્વક પેક કરીને ચણાની આડમાં છુપાવવામાં આવતી હતી. આ ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક ભારતથી લઈને કેનેડા સુધી ફેલાયેલું હતું. NCB દ્વારા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મકાન માલિક NRI સહિત અન્ય કડીઓ અને સંડોવાયેલા લોકોની ધરપકડની શક્યતા છે.
આ સફળ ઓપરેશન સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કને મોટો ફટકો પડ્યો હતો. NCBની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ભારતીય સરહદોનો ઉપયોગ દાણચોરી માટે કરી રહ્યા છે અને બંધ મકાનોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું ખૂલ્યું હતું.