Thu Jan 01 2026

Logo

White Logo

મેલ મેટર્સઃ મર્દાનગીનો મિથ્યા ખ્યાલ : ‘સ્ત્રી ન બનવા’ની જીદમાં ખોવાતું પુરુષત્વ

3 hours ago
Author: Mumbaisamachar Team
Video

અંકિત દેસાઈ

અભિનેતા ઈશાન ખટ્ટરે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં અત્યંત મર્મસ્પર્શી ઊંડી વાત કરી કે, પુરુષોને પુરુષ થતાં શીખવવામાં આવતું જ નથી. તેમને માત્ર એટલું જ શીખવવામાં આવે છે કે સ્ત્રી કઈ રીતે ન બનવું?!

આ વિધાન ભારતીય સમાજમાં પુરુષોના ઉછેર પાછળ રહેલી એક ગંભીર અને મનોવૈજ્ઞાનિક ક્ષતિ તરફ આંગળી ચીંધે છે. વર્ષોથી આપણા પરિવારોમાં છોકરાઓને મોટો કરવાની જે પદ્ધતિ રહી છે, તેના મૂળમાં ‘પુરુષ કેવા હોવું’ તેના કરતાં ‘સ્ત્રી જેવા કેમ ન દેખાવું’ તે વાત વધારે પ્રબળ રહી છે. આ વિચાર જ સામાજિક અસમાનતા અને લિંગભેદનું સૌથી મોટું કારણ બને છે, કારણ કે જ્યારે તમે કોઈ વ્યક્તિને કંઈક ‘ન બનવાનું’ શીખવો છો, ત્યારે તમે પરોક્ષ રીતે બીજી વ્યક્તિ કે લિંગને ઊતરતું સાબિત કરી રહ્યા હો છો.

આપણા ઉછેરના પાયામાં જ એક વિચિત્ર નકારાત્મકતા વણાયેલી છે. જ્યારે કોઈ નાનો છોકરો રડે છે ત્યારે તેને તરત જ કહેવામાં આવે છે કે ‘છોકરીની જેમ શું રડે છે?’ અથવા જ્યારે તે ડરે છે, ત્યારે તેને કહેવાય છે કે ‘બંગડી પહેરી લે બંગડીો!’

અહીંથી જ એક બાળકના માનસપટ પર એ છાપ અંકિત થઈ જાય છે કે રડવું, ડરવું, સંવેદનશીલ હોવું કે લાગણીશીલ બનવું એ માત્ર સ્ત્રીનાં લક્ષણ છે અને એક ‘સાચો પુરુષ’ એ છે જે આ તમામ લાગણીઓનો ત્યાગ કરે. પરિણામે, આપણે એક એવા પુરુષ વર્ગનું નિર્માણ કરીએ છીએ, જે શારીરિક રીતે મજબૂત હોઈ શકે છે, પણ ભાવનાત્મક રીતે અત્યંત નબળો અને અસુરક્ષિત હોય છે. પુરુષત્વને આપણે પથ્થર જેવી કઠોરતા માની લીધી છે, જ્યારે વાસ્તવમાં પુરુષત્વ એ સુરક્ષા અને સમજદારીનું નામ હોવું જોઈએ.

આ ઉછેરની સૌથી મોટી નકારાત્મક અસર એ છે કે પુરુષ પોતાની લાગણીને વ્યક્ત કરતા ડરવા લાગે છે. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે લાગણીઓ બહાર નથી આવતી ત્યારે તે ક્રોધ અથવા હિંસામાં રૂપાંતરિત થાય છે. આજે સમાજમાં જોવા મળતી અનેક નકારાત્મક પ્રવૃત્તિઓ પાછળ પુરુષની આ ‘લાગણીહીન’ દેખાવાની મથામણ જવાબદાર છે. જે ઉછેરમાં બાળકને શીખવવામાં આવે છે કે સ્ત્રીત્વ એ નબળાઈ છે તે મોટો થઈને સ્ત્રીનો આદર કેવી રીતે કરી શકશે? જે સંસ્કારોમાં ‘સ્ત્રી ન બનવું’ એ જ સર્વોપરિ સિદ્ધાંત હોય ત્યાં અસમાનતા આપોઆપ જન્મે છે. સ્ત્રીત્વના ગુણો જેવા કે કરુણા, દયા, અને પ્રેમ એ કોઈ લિંગની જાગીર નથી. તે માનવતાનાં લક્ષણો છે, પરંતુ પુરુષોને આ ગુણોથી વંચિત રાખીને આપણે તેમને અડધા માનવી બનાવી દઈએ છીએ.

અહીં રસપ્રદ વાત એ છે કે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ‘અર્ધનારીશ્વર’ની કલ્પના હતી, જે સમજાવે છે કે દરેક મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ બંને તત્ત્વ રહેલાં છે. પૂર્ણતા ત્યારે જ મળે છે જ્યારે આ બંને તત્ત્વનું સંતુલન હોય, પરંતુ આજના આધુનિક કહેવાતા સમાજે પુરુષને એક એવા ચોકઠામાં કેદ કરી દીધો છે, જ્યાં તેણે સતત સાબિત કરવું પડે છે કે તે કેટલો શક્તિશાળી- મજબૂત છે.

એક પુરુષ રસોડામાં મદદ કરે, ઘરના કામ કરે કે બાળકોને પ્રેમથી સાચવે તો સમાજ તેને ‘બાયલો’ કહેવા લાગે છે. આ માનસિકતા જ પુરુષને એક જવાબદાર પિતા, સંવેદનશીલ પતિ અને સારા મિત્ર બનતા અટકાવે છે. પુરુષોને ‘સુરક્ષિત’ રહેતા શીખવવામાં આવે છે, પણ ‘સંવેદનશીલ’ રહેતા નહીં.

ઈશાન ખટ્ટરનીની વાત પાછળનો ગૂઢ અર્થ એ પણ છે કે આપણે લિંગ સમાનતાની વાતો તો કરીએ છીએ, પણ તેના અમલીકરણ માટે પુરુષોના માનસમાં પરિવર્તન લાવવું જરૂરી છે. પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે સ્ત્રીના ગુણો અપનાવવાથી તેમનું પુરુષત્વ ઓછું નથી થતું, પણ તેમનું વ્યક્તિત્વ વધુ ખીલે છે. જે પુરુષ પોતાની આંખના આંસુને છુપાવતો નથી અને પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત રાખે છે, તે જ ખરેખર પુરુષ છે.

મર્દાનગીનો અર્થ કોઈને દબાવવામાં નહીં, પણ કોઈને સાથ આપવામાં હોવો જોઈએ. જ્યારે આપણે આપણા દીકરાઓને એવું કહીશું કે ‘તું રડી શકે છે, તું ડરી શકે છે અને તું કોઈના પ્રત્યે નમ્ર બની શકે છે,’ ત્યારે જ આપણે એક સાચા સમાજનું નિર્માણ કરી શકીશું.

અંતે, ઈશાન ખટ્ટરનું નિવેદન એક આહ્વાન છે કે આપણે આપણા ઉછેરની પદ્ધતિને ફરીથી ચકાસીએ. પુરુષ હોવું એટલે માત્ર શક્તિનું પ્રદર્શન કરવું એવું નથી, પણ જવાબદારી અને ગૌરવ સાથે જીવવું તે છે.

સ્ત્રી જેવું ‘ન બનવાની’ સ્પર્ધામાં પુરુષ પોતાનું અસલી માનવત્વ ખોઈ રહ્યા છે. જે દિવસે સમાજ સ્ત્રીત્વને નબળાઈ માનવાનું બંધ કરશે અને પુરુષોને પોતાની સંવેદનાઓ સાથે જીવવાની આઝાદી આપશે, તે દિવસે લિંગ અસમાનતાના મૂળિયાં આપોઆપ નબળા પડી જશે. સાચી મર્દાનગી એ છે જે સ્ત્રીનો આદર કરે અને પોતાની અંદર રહેલા સ્ત્રીત્વના સદગુણોને સ્વીકારીને એક સંપૂર્ણ મનુષ્ય બને.