ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 ડિસેમ્બર, 2025 એ વિવિધ કાર્યક્રમો આરંભ થશે. જ્યારે બીજા દિવસે 20 તારીખે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 ડિસેમ્બર 2025 સુધી પ્રદર્શન યોજાશે.
પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં કાર્યક્રમો યોજાશે
આ તમામ કાર્યક્રમો તાજાવાળા હોલ અને નટવરસિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવેલ છે, જેમાં બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસ માટેનો રોડમેપ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ તથા મહિલા સશક્તિકરણ માટેનું ‘સશક્ત નારી મેળા’ અને પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે પ્રભારી પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા સહિત કેબિનેટ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડીયા, કેન્દ્રીય પ્રધાન મનસુખભાઇ માંડવીયા, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્સ્ટેન્શન) આર. એન. ડોડીયા (IAS) ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
દેવભૂમિ દ્વારકામાં કાર્યક્રમ યોજાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ-ખંભાળિયા ખાતે 19 ડિસેમ્બર 2025ના બપોરે 3:00 કલાકે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહેશે. આ સાતે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ (IAS)ની વિશેષ હાજરી રહેશે. આ એક દિવસીય જિલ્લાસ્તરીય કાર્યક્રમો સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવે છે.
ભાવનગર ખાતે ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં 19 ડિસેમ્બર 2025ના સવારે 10:30 કલાકે યોજાનાર કાર્યક્રમમાં પ્રભારી સચિવ તથા પ્રભારી પ્રધાન કૌશિકભાઈ વેકરીયા સહિત જીઓલૉજી એન્ડ માઇનીંગના કમિશનર ડૉ. ધવલ પટેલ (IAS)ની વિશેષ હાજરી રહેશે. તેઓ VGRC અંગે પ્રસ્તુતિ આપી ખનિજ ક્ષેત્ર, ઔદ્યોગિક વિકાસ અને રાજ્યની નીતિઓ અંગે માર્ગદર્શન આપશે, જે ઉદ્યોગકારો માટે ઉપયોગી સાબિત થશે.
બોટાદ જિલ્લામાં 19 ડિસેમ્બર 2025ના સવારે 10:00 કલાકે આયોજિત એક દિવસીય કાર્યક્રમમાં પ્રભારી પ્રધાન રીવાબા જાડેજા સહિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણા ડી કે. ની વિશેષ હાજરી રહેશે. તેઓ ઉદ્યોગ વિકાસ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ તકો અંગે માર્ગદર્શન આપશે, જેના દ્વારા સ્થાનિક MSMEs અને સ્ટાર્ટ-અપ્સને નવી દિશા મળશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે 19 ડિસેમ્બર 2025ના સવારે 10:30 કલાકે યોજાનારા કાર્યક્રમમાં પ્રભારી પ્રધાન દર્શનાબેન વાઘેલા પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરશે તથા કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સેક્રેટરી અને કમિશનર આર્દ્રા અગ્રવાલ (IAS) દ્વારા પ્રાદેશિક કોન્ફરન્સ અંગે વિશેષ રજૂઆત કરવામાં આવશે. અહીં સ્ટાર્ટ-અપ, ઇનોવેશન, MSMEs અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSMEs માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. VGRC અંતર્ગત યોજાતી આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ મજબૂત બનાવી ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.