Thu Dec 11 2025

Logo

White Logo

આઝાદીના મંત્ર 'વંદે માતરમ'ના 150 વર્ષની ઉજવણી, લોકસભામાં ચર્ચાનો દોર શરૂ : જાણો શું કહ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ

2 days ago
Author: Tejas Rajpara
Video

નવી દિલ્હી: સંસદ ભવનમાં આજે એક અનોખો અને ઐતિહાસિક દિવસ જોવા મળ્યો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રેરક મંત્ર 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસભામાં 10 કલાક લાંબી ચર્ચા યોજવામાં આવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ચર્ચાના આરંભે સંબોધન કરીને આ ક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

પીએમ મોદીએ જણાવ્યું કે આ ચર્ચા માત્ર વર્તમાન ગૃહની પ્રતિબદ્ધતાને જ નહીં, પરંતુ જો તેને સમજદારીપૂર્વક અને સામૂહિક રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તે ભવિષ્યની પેઢીઓ માટે એક અમૂલ્ય પાઠ બની શકે છે. આ સંસદીય ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશે હમણાં જ તેના ગૌરવપૂર્ણ બંધારણની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી છે, જે દેશની લોકશાહી યાત્રાનો પાયો છે.

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠની ઉજવણીને દેશની અન્ય મહાન ઐતિહાસિક ઘટનાઓ સાથે સાંકળી. તેમણે ઉલ્લેખ કર્યો કે આજે રાષ્ટ્ર 'લોહપુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલ અને આદિવાસી ગૌરવ બિરસા મુંડાની પણ 150મી જન્મજયંતિ મનાવી રહ્યું છે. આ ઉપરાંત, ધર્મ અને માનવતાની રક્ષા માટે બલિદાન આપનાર ગુરુ તેગ બહાદુરજીના 150મા શહીદ દિવસની પણ ઉજવણી થઈ રહી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ સંસદીય ચર્ચા કોઈ પક્ષ કે વિપક્ષનો વિષય નથી, પરંતુ આ 'વંદે માતરમ'ને સ્વીકારવાનો પાવન પર્વ છે, જેના કારણે 1947માં ભારતને આઝાદી મળી.

વડાપ્રધાને 'વંદે માતરમ'ના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આ માત્ર એક ગીત કે સૂત્ર નથી, પરંતુ તે એક એવો મંત્ર છે જેણે દેશની સ્વાતંત્ર્ય ચળવળને ઊર્જા આપી, પ્રેરણા આપી અને શક્તિ તથા તપસ્યાનો માર્ગ બતાવ્યો. તેમણે જણાવ્યું કે જ્યારે આ ગીત 50 વર્ષનું થયું, ત્યારે દેશ ગુલામીમાં જીવવા મજબૂર હતો, પરંતુ તેના 150 વર્ષ પૂર્ણ થવાની યાત્રામાં આ ગીત ભારતીય આત્માનું પ્રતિક બની ગયું.

પીએમ મોદીએ ગૃહ અને દેશને આ ઐતિહાસિક તક ગુમાવવી ન જોઈએ એવી અપીલ કરી. તેમણે આશા વ્યક્ત કરી કે 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠની ચર્ચા દેશને 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને પુનરાવર્તિત કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.

'વંદે માતરમ' ગીતની શરૂઆતની યાત્રા અંગે માહિતી આપતા પીએમ મોદીએ જણાવ્યું કે આ રાષ્ટ્રગીતની ક્રાંતિકારી યાત્રા મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચેટરજી દ્વારા 1857ના વિપ્લવ પછી શરૂ કરવામાં આવી હતી. આ ગીત એવા સમયે લખાયું હતું જ્યારે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામથી બ્રિટિશ સામ્રાજ્ય ગભરાયેલું હતું અને ભારતીયો પર અત્યાચાર થઈ રહ્યા હતા. બ્રિટિશરો દ્વારા તેમના રાષ્ટ્રગીત 'ગોડ સેવ ધ ક્વીન'ને દરેક ઘરમાં ફેલાવવાનું કાવતરું ચાલી રહ્યું હતું.

તે સમયે, 'વંદે માતરમ' ભારતીય રાષ્ટ્રવાદની ભાવનાનું પ્રતિક બનીને બહાર આવ્યું. આ ગીતને 1882માં તેમના પ્રસિદ્ધ નવલકથા 'આનંદ મઠ'માં સામેલ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તે સમગ્ર દેશમાં સ્વતંત્રતા સેનાનીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું હતું. આ ઐતિહાસિક ચર્ચા માત્ર એક ગીતનું સ્મરણ નથી, પરંતુ દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને ભવિષ્યના લક્ષ્યોને જોડતો એક પવિત્ર સેતુ છે.