Thu Jan 01 2026

Logo

White Logo

ધનંજય મુંડેને મોટી રાહત : પત્ની હોવાનો દાવો કરતી મહિલાની અરજી કોર્ટે ફગાવી

2 hours ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ પૂર્વ પ્રધાન અને એનસીપી (અજિત જૂથ)ના નેતા ધનંજય મુંડેની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ ઉભો કરનાર વિવાદમાં તેમને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાની એક કોર્ટે બુધવારે (31 ડિસેમ્બર) પૂર્વ રાજ્ય મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડે વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી. આ અરજીમાં એક મહિલાએ પોતાને તેમની પહેલી પત્ની હોવાનો દાવો કરીને તેમના પર 2024ની વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોમાં મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

પરલી વૈજનાથ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપક બોર્ડેએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદી કરુણા મુંડે આરોપી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા છે. કોર્ટે એમ પણ કહ્યું કે તથ્યોને કથિત રીતે છુપાવવાનો હેતુ ચૂંટણી જીતવાનો નહોતો.

કરુણા મુંડેએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ (આરપી એક્ટ)ની જોગવાઈઓ હેઠળ કોર્ટમાં અરજી કરી હતી, અને દાવો કર્યો હતો કે તે કાયદેસર રીતે એનસીપી નેતાની પહેલી પત્ની છે. તેમનો મુખ્ય વાંધો એ હતો કે ધનંજય મુંડેએ નવેમ્બર 2024 માં બીડ જિલ્લાની પરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતી વખતે તેમના ઉમેદવારી પત્રોમાં તેમનું નામ સામેલ કર્યું નહોતું.

એનસીપી નેતાના કોર્ટમાં રજૂ કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે કરુણા મુંડે સાથેના તેમના સંબંધો સંમતિથી હતા, જેનાથી તેમને બે બાળકો છે. ભૂતપૂર્વ પ્રધાને બાળકોના દસ્તાવેજોમાં ફક્ત તેમના પ્રથમ અને છેલ્લા નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ધનંજય મુંડેના વકીલ બી. કવાડેએ દલીલ કરી હતી કે ફરિયાદીને સંપૂર્ણ જાણકારી હતી કે એનસીપી નેતા પહેલાથી જ પરિણીત છે, છતાં તેઓ સ્વેચ્છાએ સંબંધમાં જોડાયા અને નવેમ્બર 2020 માં અલગ થઈ ગયા.

કોર્ટે કરુણા મુંડેના દાવામાં ઘણી વિસંગતતાઓ પણ દર્શાવી હતી. આદેશમાં જણાવાયું હતું કે ફરિયાદમાં લગ્નનું વર્ષ 1996 દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે ચકાસાયેલ નિવેદનમાં લગ્નની તારીખ 1 સપ્ટેમ્બર, 1998 દર્શાવવામાં આવી હતી. તેણે પોતાના દાવાના સમર્થનમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા અન્ય કોઈ કાનૂની દસ્તાવેજ રજૂ કર્યો નહોતો. જો તે ખરેખર પહેલી પત્ની હતાં તો તેમણે પહેલાં જ અદાલતનો દરવાજો શામાટે નહોતો ખખડવ્યો? તેવો પ્રશ્ન કરતાં, અદાલતે કહ્યું કે, લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ કોઈ અપરાધ સાબિત થતો નથી.