નાગપુર: મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના પક્ષોમાં હજુ પણ અંદર ખાને ખેંચાખેંચી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ મંગળવારે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ 151 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી હતી, જ્યારે મહાયુતિના અન્ય સાથી પક્ષ, એનસીપીએ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભાજપ મહત્તમ 143 બેઠક પર ચૂંટણી લડશે, જયારે શિવસેનાને આઠ બેઠકો મળશે. આ યાદી નાગપુર શહેર ભાજપ પ્રમુખ દયાશંકર તિવારીએ શેર કરી હતી.
મહા વિકાસ આઘાડી (MVA)ના ઘટક પક્ષો, કોંગ્રેસ અને NCP (SP)એ નાગપુર નગરપાલિકાની ચૂંટણી અલગથી લડવાનો નિર્ણય લીધો છે, જેમાં શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીએ સાથી પક્ષ પર 15 બેઠકો ફાળવવામાં ન આવી હોવાનો આરોપ લગાવ્યો છે.
નાગપુર એનસીપી (એસપી)ના પ્રમુખ દુનેશ્વર પેઠેએ મંગળવારે દાવો કર્યો હતો કે સોમવાર રાત સુધી કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા ચાલુ રહી હતી. જોકે, બાદમાં નેતાઓએ અમારા ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું, જે દર્શાવે છે કે તેઓ ગઠબંધન કરવા માંગતા નથી. એવું લાગે છે કે કોંગ્રેસ ભાજપને મદદ કરવા માંગે છે અને અમારી સાથે જોડાણ ન કરવાનો નિર્ણય લીધો છે", NCP (SP) નેતાએ આરોપ લગાવ્યો.
મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે અને બીજા દિવસે મત ગણતરી કરવામાં આવશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 30 ડિસેમ્બર છે, જ્યારે 2 જાન્યુઆરી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારોની અંતિમ યાદી 3 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે.
2017માં 151 સભ્યોની નાગપુર નગર નિગમ માટે યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં, ભાજપે 108 બેઠકો, કોંગ્રેસે 28, બસપાએ 10, શિવસેના (અવિભાજિત) 2 અને એનસીપી (અવિભાજિત) 1 બેઠક જીતી હતી.