Thu Dec 11 2025

Logo

White Logo

આહારથી આરોગ્ય સુધીઃ : વૃદ્ધાવસ્થામાં થતી બીમારી

1 day ago
Author: Mumbai Samachar Team
Video

ડૉ. હર્ષા છાડવા

ભારતીય સમાજ અને વિશ્વના અન્ય સમાજોમાં વૃદ્ધાવસ્થા સાથે કુટુંબ-વ્યવસ્થા સંકળાયેલી છે, પરંતુ તમામ પ્રકારના સમાજોમાં આ સંદર્ભમાં જુદાપણું જોવા મળે છે. આજે પણ મહદ અંશે ભારતીય સમાજમાં વૃદ્ધોની સારસંભાળ અને માન-સન્માન કુટુંબ જીવનમાં સચવાય છે. જ્યારે પશ્ચિમના સમાજોમાં વૃદ્ધાવસ્થાનો પર્યાય એકલતા બન્યો છે. 

ભારતમાં ખાસ કરીને શહેરી જીવનના બદલાતા કૌટુંબિક સ્વરૂપને કારણે વૃદ્ધ મા-બાપથી અલગ વિભક્ત કુટુંબ સ્થાપવાનું ચલણ વધતું જાય છે. તેને પરિણામે વૃદ્ધોએ અને ક્યારેક વૃદ્ધ દંપિત્તએ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. આના કારણો ઘણાંય છે. પતિ-પત્નીનું કામકાજી જીવન કોઈ કારણસર કુટુંબમાં મનમેળનો અભાવ અને આર્થિક કે બીમારીના કારણ હોઈ શકે.

જરા ચિકિત્સા એટલે વૃદ્ધોમાં થતી બીમારીનું અધ્યયન તેમ જ તેનો ચિકિત્સ (ડૉકટર) અથવા વૃદ્ધાવસ્થામાં સંભાળ રાખનાર આ જરા ચિકિત્સક (જેરોન્ટલોજી)ની ડિમાન્ડ વધવા લાગી છે. આ ક્ષેત્રે ચિકિત્સક કે સંભાળ રાખનાર બહુ ઓછા છે, ડિમાન્ડ વધુ છે. એક સંશોધન મુજબ વૃદ્ધાવસ્થામાં થતી બીમારીઓના કારણોમાં એ જણાયું કે ત્રીસથી ચાલીસની ઉંમરમાં શારીરિક સંભાળમાં દુર્લક્ષતા રાખવી તે છે. 

આ ઉંમર દરમ્યાન શરીરમાં જોઈતા મિનરલ્સ કે વિટામિનની ઉણપ પર ધ્યાન દેવું અતિ જરૂરી છે. બાહ્ય ખાદ્ય પદાર્થના ઉપયોગથી, ઘરમાં બનતા વ્યંજનો પ્રાકૃતિક છે કે નહિ તેના ઉપર કોઈ ધ્યાન આપતું નથી. વધુ પડતા ફરસાણના ઉપયોગને કારણે શરીરમાં વિસરલ ફેટ (ટ્રાન્સફેટ) વધવાને કારણે વૃદ્ધાવસ્થામાં અવયવો બરાબર કામ નથી કરતા. 

મીઠાઈઓના સેવનના કારણે એ.જી.ઈ.નું વધવું એટલે કે એન્ડવાન્સ ગ્લાયકેસન એન્ડ પ્રોડકસનનું વધવું. શરીરના અવયવ પર સાકર પચાવાનો અધિક બોજ આવે છે, જેથી રાત્રે વારંવાર પેશાબનું આવવું. તેથી જણાય છે કે અવયવોને નકામી સુગર ફેંકવાની અધિક જરૂર પડે. તે ન ફેંકાતા પગ પર સોજા આવે છે. કીડનીની ક્ષમતા બગડે છે.

ફરસાણના વધુ સેવનના કારણે કબજિયાત થવી, જેથી શરીરમાં ગેસનું પ્રમાણ વધી જાય છે. પગમાં સતત દુખાવો થાય છે. ચાલવું મુશ્કેલ બને છે. ડાયાબિટીસની સમસ્યા અધિક રહે છે. જેના કારણે આંખોમાં મોતીયાની સમસ્યા થાય છે. કાનમાં સંભળાવાનું ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ પ્રોસ્ટ્રેટમાં ડીપોઝીટ થાય છે ત્યાં સોજા આવી જાય છે. 

ડાયાબિટીસીની દવા અને કોલેસ્ટ્રોલની દવાઓની આડઅસરના કારણે કીડની અથવા હૃદયની સમસ્યાઓ થાય છે. આ બીમારીઓ ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરમાં ગતિહીન જીવનશૈલીના કારણે થાય છે. આહારમાં કાર્બોહાઈડ્રેડ અને અનહેલ્થી ફેટને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.

વચગાળાની ઉંમરમાં ચિકિત્સકની સલાહથી જો શરીરની નાની નાની વ્યાધિઓને કાબૂમાં રાખવામાં આવે તો જ વૃદ્ધાવસ્થામાં બિમારીઓથી દૂર રહી શકાય છે. આહારમાં લેવાતા પદાર્થો પ્રાકૃતિક ન હોય ત્યારે જ આ સમસ્યાઓ થાય છે. વૃદ્ધાવસ્થામાં એક હેરાન કરતી બીમારી છે. અલ્ઝાઈમર (ભૂલવાની બીમારી) આ હાલના સમય વધુ દેખાવા લાગી છે. 

શારીરિક સ્વાસ્થ્યની જેમ જ માનસિક સ્વાસ્થય સાંઈઠની ઉંમર પછી બગડવા લાગે છે. આ બીમારી શારીરિક સમસ્યાઓ તેમ જ સામાજિક સમસ્યાને કારણે પણ થાય છે. પરિવારથી દૂર રહેવું, એકલતા, પડોશી, મિત્ર વર્તુળથી દૂર રહેવાથી પણ આ સમસ્યા થાય છે. કામકાજના બોજાને કારણે સામાજિક પ્રવૃત્તિથી દૂર રહેવાને કારણે વૃદ્ધાવસ્થામાં એકલતા આવી જાય છે. સામાજિક મેલમેલાપ પણ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

વર્નર સિંડ્રોમ આ સમસ્યા વયસ્ક અવસ્થા કે વયસ્ક જીવનની પ્રારંભિકતામાં જણાય છે. આ સમસ્યામાં ત્વચામાં કરચલી પડવી. ગંજાપણુ થવું વગેરે... આ માંસપેશીની ક્ષમતા ઓછી થવાના કારણે થાય છે. વજન ઘટવું, યાદદાસ્ત ઓછી થવી, નબળાઈ, થકાવટ, હાડકાંનો દુ:ખાવો કે અન્ય બીમારીઓ લગભગ યુવાવસ્થામાં સંભાળ ન રાખવાને કારણે થાય છે.

વૃદ્ધાવસ્થામાં આ બીમારી હોય તો ખાદ્યપદાર્થ પર ધ્યાન દોરવું અતિ જરૂરી છે. સ્વાદિષ્ટ ખાવાનું જરૂર લ્યો પણ તે પ્રાકૃતિકરૂપથી લેવું જરૂરી છે. મીઠાઈ અને ફરસાણ પંદર દિવસમાં એકવાર લો. ધ્યાન (એકાગ્રતા) કેળવો. શાકભાજીનું સેવન વધારી દો. અનાજનું પ્રમાણ ફક્ત વીસથી ત્રીસ ટકા જેટલું રાખો. રાત્રે ભોજનમાં ફક્ત સૂપ કે થોડો દલિયો લો. જેથી આ બીમારીઓ પર કાબૂ મેળવી શકાય.