નવી દિલ્હી : વર્ષ 2025ના અંતિમ દિવસે ભારત અને જાપાનમાં ભૂકંપ નોંધાયો છે. જેમાં જાપાનના પૂર્વે કિનારે શકિતશાળી ભૂકંપ આવ્યો છે. આ ઉપરાંત આસામ, લદ્દાખના ભારતીય પ્રદેશોમાં પણ મધ્યમ-તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જ્યારે તિબેટમાં પણ ભૂકંપના આંચકો નોંધાયો છે. યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર બુધવારે જાપાનના પૂર્વી નોડા પ્રદેશના દરિયાકાંઠે 6.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જાપાનમાં આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટર નીચે હતું. જોકે, જાનમાલને કોઈ મોટું નુકસાન થયું નથી.
આસામમાં 3.4 અને લદ્દાખમાં ભૂકંપ 3.7 ની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર, ભારતના બે અલગ અલગ ભાગોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. જેમાં રાત્રે 9. 04 વાગ્યે આસામના દિમા હાસાઓમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી માત્ર 5 કિલોમીટર નીચે હતું.આ પહેલા, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (લેહ) માં સાંજે 7.35 વાગ્યે 3.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તેની ઊંડાઈ 10 કિલોમીટર નોંધાઈ હતી.આ ઉપરાંત તિબેટમાં પણ 3.26 વાગ્યે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે. જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. જ્યારે રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.