Mon Dec 08 2025

Logo

White Logo

ઇન્ડિગો ફ્લાઇટ્સમાં ધાંધિયાઃ : મુંબઈ એરપોર્ટ પર ભારે અંધાધૂંધી, સેંકડો ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસીઓ પરેશાન

4 days ago
Video

મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે રોજ ભારે અંધાધૂંધી જોવા મળી હતી. ઈન્ડિગોની અનેક ફ્લાઇટ્સ મોડી અને રદ થવાના કારણે મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. એરલાઈન્સ કથિત રીતે ક્રૂની અછતનો સામનો કરી રહી હોવાથી ફક્ત મુંબઈ એરપોર્ટ પર જ નહીં, પરંતુ દેશભરના વિવિધ એરપોર્ટ પર ઈન્ડિગોની અનેક ફ્લાઇટ્સ લેટ હતી.

આજે ઈન્ડિગો દ્વારા દેશના વિવિધ એરપોર્ટ્સ પર 130થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર ક્રૂની તીવ્ર અછતને કારણે 16 પ્રસ્થાન અને આગમન સહિત લગભગ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, પરંતુ સૂત્રોએ દાવો કર્યો હતો કે એરલાઇન્સે આજે 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેમાં બેંગલુરુ અને મુંબઈ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. 

ઇન્ડિગોએ સ્વીકાર્યું કે છેલ્લા બે દિવસથી સમગ્ર નેટવર્ક પર કામગીરી નોંધપાત્ર રીતે ખોરવાઈ ગઈ છે. ઇન્ડિગો દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે. એરલાઇનના પ્રવક્તાએ વિલંબ અને રદ થવાના અનેક કારણો જણાવ્યા. "નાની ટેકનિકલ ખામીઓ, શિયાળાની ઋતુમાં સમયપત્રકમાં ફેરફાર, વધેલી ભીડ અને અપડેટેડ ક્રૂ રોસ્ટરિંગ નિયમો (ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાઓ)ના અમલીકરણ સહિત અનેક અણધાર્યા ઓપરેશનલ પડકારોએ અમારા ઓપરેશન્સ પર એવી રીતે નકારાત્મક અસર કરી હતી જેની અપેક્ષા નહોતી."

અમારી સેવાઓ સમયસર ફરી શરુ કરવા માટે, અમે અમારા સમયપત્રકમાં યોજનાબદ્ધ ગોઠવણો શરૂ કરી છે. આ પગલાં આગામી 48 કલાક સુધી અમલમાં રહેશે જેથી અમને અમારા કામકાજને સામાન્ય બનાવવા અને નેટવર્કને ફરી સમયસર કરવામાં મદદ મળશે.
એરલાઇન્સે જણાવ્યું હતું કે મુસાફરોને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા અથવા રિફંડ પણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન, એર ઇન્ડિયા અને અન્ય એરલાઇન્સની ચેક-ઇન સિસ્ટમમાં વિવિધ એરપોર્ટ પર થર્ડ પાર્ટી સિસ્ટમ ખોરવાઈ જવાને કારણે ખામી સર્જાઈ હતી, જેના કારણે મંગળવારે સાંજે ફ્લાઇટ મોડી પડી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઓછામાં ઓછા 45 મિનિટનો સમય લાગ્યો હતો ત્યાં સુધી સમસ્યા ચાલુ રહી હતી.