ભૂજ: ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે 4. 30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાના લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકાના લીધે જાનમાલના નુકસાનના કોઈ માહિતી નથી.
24 ડિસેમ્બરના રોજ પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
આ ઉપરાંત 24 ડિસેમ્બરના રોજ પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પણ તીવ્રતા ૩.૦ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કરમરીયા ગામ પાસે હતું. જે જમીનમાંથી માત્ર 23.5 કિલોમીટરની ઉંડાઇએ હતું. કચ્છ ઉચ્ચ ભૂકંપ જોખમ ધરાવતો વિસ્તાર છે. તેમજ આ ક્ષેત્રમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. આ વર્ષે ડિસેમ્બર માસમાં પણ ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. જેમાં 13 ડિસેમ્બરના રોજ 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
1300થી વધુ આંચકાઓનું વિશ્લેષણ કરાયું
જોકે, સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આવેલા 2001 ના વિનાશક ભૂકંપના 2026માં 25 વર્ષ થશે. આ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2008 થી 2024 વચ્ચે નોંધાયેલા 1300થી વધુ આંચકાઓનું વિશ્લેષણ કરાયું હતું.
રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઈનો એક્ટિવ
આ માટે 56 કાયમી અને 20 કામચલાઉ સિસ્મિક સ્ટેશનોના ડેટાનો ઉપયોગ કરીને ગુજરાતના ભૂગર્ભનું સ્કેનિંગ કરાયું હતું. જેમાં સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઈનો અને પૃથ્વીના પડમાં થયેલા ફેરફારો (deformations) એકબીજા સાથે સંપર્કમાં આવતા રહે છે, જે ધ્રુજારી અને ભૂકંપનું કારણ બને છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છને તબાહ કરનારા ભયાનક ધરતીકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે ત્યારે સતત વધી રહેલી ભૂ-હલચલથી કચ્છીઓના માનસપટ પર અંકિત થઇ ગયેલી એ 26મી જાન્યુઆરી, 2001 ના વિનાશક ભૂકંપની વરવી યાદો ફરી જીવંત થઇ ઉઠી હતી.