અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સુભાષબ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ શહેરમાં વધુ એક બ્રિજ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતીકાલથી 6 મહિના સુધી આ બ્રિજ બંધ રહેશે.
મળતી વિગત પ્રમાણે, વટવામાં ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રીજ જર્જરિત થઈ જતાં તેને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાંધકામ પ્રક્રિયા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને આગામી 6 મહિના માટે આ માર્ગ બંધ રાખવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.
23 મીટરની લંબાઈ ધરાવતો મચ્છુનગર બ્રીજ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેતો હતો. આ બાબતને ધ્યાને રાખીને GIDC દ્વારા આ બ્રીજનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે પહેલી જાન્યુઆરીથી 30મી જૂન 2026 સુધી તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વૈકલ્પિક રૂટ
આ સમયગાળા દરમિયાન રામોલ ચાર રસ્તાથી અંબિકા ત્રણ રસ્તા (ત્રિકમપુરા પાટીયા) સુધીનો અંદાજે 200 મીટરનો રોડ બંધ રહેશે. વાહનચાલકોની સુવિધા માટે GIDCથી બહાર જતા વાહનો માટે જે વાહનો મચ્છુનગર અંદરના ભાગથી આવતા હોય, તેમણે રામોલ પોલીસ ચોકી થઈ હાથીજણ લાલગેબી સર્કલ તરફ જવાનું રહેશે. ત્યાંથી તેઓ ત્રિકમપુરા તરફના મુખ્ય માર્ગો પર જઈ શકશે. GIDC માં પ્રવેશતા વાહનો માટે જે બહારથી GIDCમાં આવવા માંગતા વાહનચાલકોએ ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અંદરના માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
શાહીબાગ અંડર બ્રિજ પર 5 જાન્યુઆરીથી બંધ
શહેરમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે શાહીબાગ અંડરપાસ ખાતે મહત્વનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોવાથી 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી આ અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત આઠ દિવસ સુધી આ માર્ગ બંધ રહેવાના કારણે એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતા ટ્રાફિકને મોટી અસર થશે. તંત્ર દ્વારા વાહનચાલકોની સુવિધા માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જે લોકો એરપોર્ટ અથવા ગાંધીનગરથી શાહીબાગ, દિલ્હી દરવાજા કે કાલુપુર તરફ જવા માંગતા હોય, તેમણે હવે ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને શિલાલેખ સોસાયટી તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
એક રિપોર્ટ પ્રમાણે, શહેરમાં વિવિધ 126 ડાયવર્ઝન છે. જેણે શહેરને સંપૂર્ણ બાનમાં લીધું હોય તેમ લાગે છે. ડાયવર્ઝનના કારણે થતાં ટ્રાફિક જામથી 10 મિનિટનો રસ્તો કાપતા 30 થી 60 મિનિટ સુધીનો સમય થાય છે. જે સમસ્યા પહેલા માત્ર પીક-અવર્સ પૂરતી મર્યાદિત હતી, તે હવે આખો દિવસ ચાલતી કનડગત બની ગઈ છે, જે સવારથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગોને બ્લોક કરી દે છે.