દેશમાં ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહેલી ઇન્ડિગોએ આજે પણ 650 ફલાઈટ્સ રદ કરી છે. જેના લીધે કંપની આજે તેની 2300માંથી 1650 ફલાઈટ ઓપરેટ કરશે. આ દરમિયાન રવિવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઇન્ડિગોના મુસાફરોને કુલ રૂપિયા 610 કરોડ પરત કરવામાં આવ્યા છે. ઇન્ડિગોએ દેશભરના મુસાફરોને 3,000 થી વધુ બેગ પણ પરત કરી છે.
ઇન્ડિગોએ છેલ્લા છ દિવસથી અનેક ફ્લાઈટો રદ કરી
ઇન્ડિગોએ છેલ્લા છ દિવસથી અનેક ફ્લાઈટો રદ કરી છે. જેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. જેમાં શનિવારે, ઇન્ડિગોએ લગભગ 1,500 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. ઇન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના ઓપરેશનલ સમસ્યા વચ્ચે અમારા નેટવર્કમાં વધુ નોંધપાત્ર અને કાયમી સુધારા કરી રહ્યા છીએ. અમે રવિવારે 1,650 થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાની યોજના બનાવી રહ્યા છીએ.
ઇન્ડિગોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો
ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર યાત્રીઓને છેલ્લા કેટલાક દિવસોથી હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને DGCAએ એરલાઇન કંપની સામે કડક પગલાં ભર્યા છે. DGCAએ દ્વારા ઇન્ડિગોના CEO પીટર અલ્બર્સ અને અકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ મોકલીને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. જેને લઇને હવે ઇન્ડિગોએ હવે એક નિવેદન જાહેર કર્યું છે અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે.