તહેરાન: કેનેડાએ 19 જૂન, 2024ના ઈરાની સેનાની વૈચારિક પાંખ ગણાતા 'રિવોલ્યુશનરી ગાર્ડ્સ' પર પ્રતિબંધ લાદી તેને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું. આ જાહેરાતની કેનેડામાં રહેતા ઈરાની નાગરિકો પર ગંભીર અસર થઈ છે. જોકે, હવે ઈરાને કેનેડાને વળતો જવાબ આપ્યો છે. ઈરાને કેનેડાના એક સંઠગનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
'રોયલ કેનેડિયન નેવી' આતંકવાદી સંગઠન
કેનેડાએ ઈરાનના 'રિવોલ્યુશનરી ગાર્ડ્સ' પર પ્રતિબંધ લાદી તેને આતંકવાદી જૂથ જાહેર કરતા ઈરાનીઓને મોટું નુકસાન થયું હતું. આ જાહેરાતના કારણે ઈરાની સેનાના સભ્યોના કેનેડા પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આ સાથે કેનેડામાં રહેલી ઈરાની સૈન્ય સંપત્તિ જપ્ત કરવાનો આદેશ અપાયો હતો. સાથો સાથ ઈરાનીઓના કેનેડિયન નાગરિકો સાથેના કોઈ પણ વ્યવહાર પર રોક લગાવાઈ હતી. હવે કેનેડાની આ કાર્યવાહીનો ઈરાને જવાબ આપ્યો છે.
ઈરાને કેનેડાના નૌકાદળ 'રોયલ કેનેડિયન નેવી'ને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. ઈરાનના આ નવા નિર્ણય બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસે તેવી શક્યતા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ તેમની સેના વિરુદ્ધ પગલાં લેશે, તો તેઓ પણ ચૂપ બેસશે નહીં બેસે.
ઈરાન અને કેનેડાના સંબંધો
ઉલ્લેખનીય છે કે ઈરાન અને કેનેડા વચ્ચે છેલ્લા 13 વર્ષથી સંબંધ રહ્યા નથી. 2020માં કેનેડાએ ઈરાનને વૈશ્વિક શાંતિ માટે ખતરો ગણાવીને રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા. આ સિવાય જાન્યુઆરી 2020માં તહેરાનથી ઉડાન ભરેલા એક કેનેડિયન વિમાનને ઈરાની સેનાએ તોડી પાડ્યું હતું. આ દુર્ઘટનામાં 85 કેનેડિયન નાગરિક સહિત કુલ 176 લોકોના મોત થયા હતા. જોકે, ઈરાને આ ઘટનાને 'ભૂલ' ગણાવી માફી માંગી હતી, પરંતુ કેનેડાએ માનવાધિકાર ઉલ્લંઘનના આરોપ હેઠળ પ્રતિબંધો ચાલુ રાખ્યા હતા.