ઢાકા : બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા સતત વધી રહી છે. જેમાં હિંદુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમજ ભારતને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેમજ બંને દેશોએ વિઝા સર્વિસ બંધ કરી દીધી છે. આ દરમિયાન રશિયાએ પ્રતિક્રિયા આપતા બાંગ્લાદેશને જણાવ્યું છે કે બાંગ્લાદેશ જેટલા જલદી ભારત સાથે સંબંધ સુધારશે તેટલું તેના માટે સારું છે.
રશિયાએ તણાવ ઘટાડવા અપીલ કરી હતી
બાંગ્લાદેશમાં રશિયન રાજદૂત એલેક્ઝાન્ડર જી. ખોજિને સોમવારે બાંગ્લાદેશ અને ભારતને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા અપીલ કરી છે.
ઢાકામાં રશિયન દૂતાવાસમાં એક પત્રકાર પરિષદમાં રાજદૂત એલેક્ઝાન્ડરે કહ્યું કે બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ પહેલાં અનુકૂળ વાતાવરણ બનાવવું જરૂરી છે. જેની માટે ભારત સાથે તણાવ ઓછો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જેટલું વહેલું થાય તેટલું સારું. તેમણે સ્પષ્ટતા કરી કે રશિયા બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં દખલ કરવા માંગતું નથી પરંતુ અમારું માનવું છે કે બે દેશો વચ્ચે તણાવ ઘટાડવો સમજદારીનું કામ છે.
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં 12 ડિસેમ્બરના રોજ અજાણ્યા બંદૂકધારીઓએ ઇન્કલાબ મંચના પ્રવક્તા ઉસ્માન હાદીને ગોળી મારી દીધી. ગોળીબાર બાદ ભારતના કટ્ટર વિરોધી હાદીને વધુ સારી સારવાર માટે સિંગાપુર લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. જેમા ઉપદ્રવીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાંગ્લાદેશના સરકારી મુખ્યાલય અને ભારત સાથે જોડાયેલા રાજદ્વારી આવાસને પણ નિશાન બનાવી રહ્યા છે.