Mon Dec 08 2025

Logo

White Logo

દેશના 11 એરપોર્ટ પર 570 ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ : સરકારે લગાવ્યો ફેયર કેપ…

1 day ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હી: ભારતમાં સૌથી મોટી ગણાતી એરલાઇન ઇન્ડિગો હાલમાં એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. પાયલટોના આરામ (રેસ્ટ) સંબંધિત નિયમોમાં ફેરફાર અને રોસ્ટરની સમસ્યાઓના કારણે છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ ડાઉન થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મોટા પાયે કેન્સીલેશનના કારણે દેશના 11 મુખ્ય એરપોર્ટ પર 571થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થતાં એરપોર્ટ્સ પર લાંબી કતારો અને અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે વિમાનના ભાડામાં ચાર ગણા સુધીનો વધારો થઈ ગયો હતો, જોકે હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 'ફેયર કેપ' (ભાડાની મર્યાદા) લાગુ કરીને મનફાવે તેવા ભાડા વસૂલવા પર બ્રેક લગાવી દીધી છે.

વધતી મુશ્કેલીઓને જોતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હવે એક્શનમાં આવ્યું છે. અગાઉ આપવામાં આવેલા રોસ્ટર સંબંધિત તેના કેટલાક નિર્દેશો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને પાયલટોના આરામના નિયમોમાં ફેરફાર કરાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ સમગ્ર મામલે ગૃહ મંત્રી અમિત શાહને માહિતી આપી હતી, જેના પગલે DGCAએ આદેશો પાછા ખેંચ્યા. DGCAએ તમામ પાયલટ એસોસિએશનોને પણ વર્તમાન પડકારજનક સ્થિતિમાં સહકાર આપવા અપીલ કરી છે. ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સના નિવેદન અનુસાર, 5 ડિસેમ્બરના રોજ 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, પરંતુ તેમણે આશ્વાસન આપ્યું છે કે 10થી 15 ડિસેમ્બર સુધીમાં સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ જશે.

આ સંકટના મુખ્ય હોટસ્પોટ તરીકે મુંબઈ (CSMIA) અને બેંગ્લોર એરપોર્ટ ઉભરી આવ્યા છે, જ્યાં સૌથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. મુંબઈ એરપોર્ટ પર 51 આગમન (Arrivals) અને 58 પ્રસ્થાન (Departures) મળીને કુલ 109 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જે આ કટોકટીનો સૌથી મોટો આંકડો છે. જ્યારે બેંગ્લોર એરપોર્ટ પર 63 પ્રસ્થાન અને 61 આગમન સહિત 124 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત, દિલ્હીમાં 86, હૈદરાબાદમાં 69, અમદાવાદમાં 59, ચેન્નાઈમાં 49, અને પુણેમાં 42 ફ્લાઇટ્સ રદ થઈ છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોને રી-શેડ્યૂલિંગ, રિફંડ અને માહિતીના અભાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇન્ડિગોની આ કટોકટીની સૌથી વધુ અસર સામાન્ય મુસાફરો પર પડી છે. તહેવારો અને વેકેશનના સમયગાળામાં અચાનક ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે. ઘણા કિસ્સાઓમાં, અંતિમ સમયે ફ્લાઇટ્સ રદ થવાના કારણે મુસાફરોને એરપોર્ટની અંદર જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ચેન્નાઈ જેવા એરપોર્ટ્સ પર કાઉન્ટર અને ડિસ્પ્લે બોર્ડ પરની માહિતી પણ મેચ ન થતા મૂંઝવણ સર્જાઈ છે.મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસપણે ચકાસી લે, કારણ કે આંકડાઓ સતત અપડેટ થઈ રહ્યા છે અને ઘણા એરપોર્ટ્સ પર મોડી થતી ફ્લાઇટ્સ માટે એરપોર્ટના સમયને લંબાવવામાં આવ્યો છે.