નવી દિલ્હી : અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર આ શિયાળામાં જમ્મુ ક્ષેત્રમાં 30 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે, તો તેની અસર અમેરિકા પર પડી શકે છે. ભારતે જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. ભારતીય વાયુસેનાએ અનેક પાકિસ્તાની એરબેઝ પણ હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું.
ભારત શસ્ત્ર ભંડારને વધુ મજબૂત બનાવી રહ્યું છે
ઓપરેશન સિંદૂર પછી જમ્મુ કાશ્મીરમાં કોઈ મોટા આતંકવાદી હુમલા થયા નથી. જોકે, ભારત શસ્ત્ર ભંડારને વધુ મજબૂત બનાવી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સશસ્ત્ર દળો માટે રૂપિયા 79,000 કરોડના વિવિધ દારૂગોળો અને લશ્કરી સાધનો, જેમાં મિસાઇલ, રોકેટ અને ડ્રોનનો સમાવેશ થાય છે. આમાં સેના માટે લોઇટરિંગ દારૂગોળો અને પિનાકા રોકેટ અને વાયુસેના માટે એસ્ટ્રા મિસાઇલ અને સ્પાઇસ-1000 બોમ્બનો સમાવેશ થાય છે. નૌકાદળ માટે વધારાની હાઇ એલ્ટિટ્યુડ લોંગ રેન્જ (HALE)રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ ભાડે લેવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંભવિત સંઘર્ષનો પણ સંકેત
ઓપરેશન સિંદૂર પછી થયેલા ભારે નુકસાન બાદ, પાકિસ્તાને નવા ડ્રોન અને વાયુ સંરક્ષણ પ્રણાલીઓ ખરીદવા માટે તુર્કી અને ચીન સાથે વાટાઘાટો પણ શરૂ કરી છે. રિપોર્ટમાં 2026 માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંભવિત સંઘર્ષનો પણ સંકેત આપવામાં આવ્યો છે. જો કે, આનાથી અમેરિકાના હિતોને અસર થશે નહીં. અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટમાં ભૂતપૂર્વ રાજદ્વારીઓ, લશ્કરી અધિકારીઓ, પ્રોફેસરો અને નીતિ નિષ્ણાતો સહિત વિદેશ નીતિ નિષ્ણાતોના સર્વેક્ષણ પર આધારિત છે.