ઢાકા : બાંગ્લાદેશના સતત વધતી હિંસા અને હિંદુઓ પર કરવા આવતા હુમલા અંગે ભારત સહિત અનેક દેશો તેનો વિરોધ કર્યો છે. જેના પગલે બાંગ્લાદેશ નું ભારત પ્રત્યે નરમ વલણ પ્રકાશમાં આવ્યું છે. બાંગ્લાદેશના વચગાળાની સરકારના નાણા સલાહકાર સલેહુદ્દીન અહમદનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે મોહમ્મદ યુનુસ ભારત સાથે તણાવપૂર્ણ સંબંધો સુધારવાના સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. તેમજ તે ભારત સાથે મજબૂત આર્થિક વિકાસ માટે સતત કાર્યરત છે.
ભારતીય અધિકારી સાથે વાત નથી કરી
બાંગ્લાદેશની સરકારી ખરીદ સલાહકાર પરિષદ સમિતિની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, મોહમ્મદ યુનુસ ભારત સાથે રાજકીય સંબંધ સારા બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ અંગે અનેક લોકો સાથે ચર્ચા પણ કરી છે. જોકે, તેમણે અત્યાર સુધી કોઈ ભારતીય અધિકારી સાથે વાત નથી કરી.
ભારત પાસેથી ખરીદી કરવી આર્થિક રીતે ફાયદારૂપ
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત અને બાંગ્લાદેશની વેપાર નીતિ રાજકીય વિચારોથી પ્રભાવિત નથી. જો ભારતમાંથી ચોખાની આયાત વિયેતનામ કે અન્યત્ર કરતાં સસ્તી હોય તો ભારત પાસેથી ખરીદી કરવી આર્થિક રીતે ફાયદારૂપ છે. અહેમદે ભાર મૂક્યો કે બાંગ્લાદેશે મંગળવારે ભારત પાસેથી 50,000 ટન ચોખા ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેને તેમણે સારા સંબંધો બનાવવા તરફ એક પગલું છે. તેમણે કહ્યું કે આ આયાત બાંગ્લાદેશ માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે વિયેતનામમાંથી ચોખા ખરીદવા પર પ્રતિ કિલોગ્રામ લગભગ 10 ટાકા વધુ ખર્ચ થશે.
બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ સ્તરે
બાંગ્લાદેશની વચગાળાની સરકારના નાણાં સલાહકારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજકીય વિશ્લેષકો માને છે કે વર્ષ 1971માં પાકિસ્તાનથી દેશની સ્વતંત્રતા પછી બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા છે. આ બંને દેશોમાં રાજદૂતોને વારંવાર બોલાવવામાં આવી રહ્યા છે અને રાજધાનીઓ અને અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, સલેહુદ્દીન અહેમદે કહ્યું કે બહારથી એવું લાગે છે કે ઘણું બધું થઈ રહ્યું છે પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ નથી.