ગાંધીનગર : ગુજરાતના ગ્રીન કવર વધારવામાં રાજ્ય સરકારને પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે ગ્રીન ક્વર વધારવા માટે રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર અભિયાન હાથ ધરવામાં આવશે. ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનમાં પ્રમાણ વધશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે.
વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા
કેન્દ્ર સરકારના વર્ષ 2023 ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે.
વન મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં ગ્રીન કવર વધારવા 185 નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જે અંતર્ગત વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે.
ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે
જ્યારે જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. અન્ય કોઇ હેતુ માટે આવી જમીનનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. મંત્રીએ કહ્યું હતું કે,આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનો ઉપર કોઇ પણ રીતે વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી. આવી સવાલવાળી જમીન ગ્રીન કવર-વૃક્ષ ઉછેરનો વિકાસ કરવા પુરતી જ જમીનના વપરાશની પરવાનગી આપવામાં આવે છે. આવી જમીનનું રક્ષણ, જાળવણી તથા સંરક્ષણ કરવાની જવાબદારી વન અને પર્યાવરણ વિભાગ/ તેના તાબા હસ્તકની કચેરીઓની રહેશે.
આ કાર્યક્ષેત્ર હેઠળની જમીન પર જો દબાણ હોય તો તે દુર કરવા અંગેની કાર્યવાહી વન અને પર્યાવરણ વિભાગ/તેના તાબા હસ્તકની કચેરીએ કરવાની રહેશે. આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનમાંથી ઈલેકટ્રીક લાઇન કે અન્ય પાઇપલાઇન પસાર થતી હોય તો જમીનની સ્થળ સ્થિતિ અનુસાર અન્ય કોઈ સંસ્થા-કચેરીનો અભિપ્રાય મેળવવો યોગ્ય જણાય તો સંબંધિત કચેરીનો અભિપ્રાય મેળવવાનો રહેશે.
વન વિસ્તારોમાં આવતી નદીઓની કામગીરી વન વિભાગે કરવી પડશે
તેમણે કહ્યું હતું કે, સંરક્ષિત વિસ્તારોમાં વન્યપ્રાણી વિભાગો દ્વારા અને વન વિસ્તારોમાં આવતી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી ક્ષેત્રીય વન વિભાગો દ્વારા કરવાની રહેશે. આ સંરક્ષિત વિસ્તારો અને વન વિસ્તારો બહાર આવેલી તમામ નદીઓના Riverine Forest Landscape Management અંગેની કામગીરી સામાજિક વનીકરણ વિભાગો દ્વારા નક્કી કરેલ શરતોને આધિન અને જે તે જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જગ્યાની પસંદગી કરી તેઓના હસ્તક મેળવી આગળની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્રની 71 અને કચ્છની 97 નદીઓનો સમાવેશ
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, Riverine Forest Landscape Management માં નર્મદા,તાપી, પૂર્ણા સહિત તળ ગુજરાત વિસ્તારમાં 17 નદીઓ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 71 તેમજ કચ્છ વિસ્તારમાં આવેલી સૌથી વધુ 97 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ થકી નદીઓના બન્ને કાંઠાની જમીન ધોવાણ પણ અટકશે અને સાથે સાથે ભૂગર્ભ જળ સ્તર પણ વધુ ઊંચા આવશે.