ગાંધીનગર : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમલી 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના' અંતર્ગત વર્ષ 2025-26 માટેની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ પુન: ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
કી રહી ગયેલા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકશે
જે વિદ્યાર્થીઓએ તા 12 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવેલી પરીક્ષા આપી હોય, પ્રથમ કામચલાઉ મેરીટ યાદીમાં સમાવેશ થયો હોય.પરંતુ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં જે વિદ્યાર્થીઓને સમાવેશ થયો નથી અને રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગની કામગીરી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
15 જાન્યુઆરી, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવાની વધુ એક તક પ્રાપ્ત થશે. 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કુલ 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય છે, જેમાં ખાલી રહેલી બેઠકોમાં આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આગામી તા. 15 જાન્યુઆરી, 2026 સુધી.. http//gssyguj.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે
સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવાની રહેશે
પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન માટેની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ અંગેની અપડેટ્સ મેળવવા માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.