માંડવી: ગુજરાતના આઠ મહિના પૂર્વે કચ્છના બંદરીય માંડવી તાલુકાના બિદડા ગામમાં એક યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરીને લગ્ન કરવાના કિસ્સામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં યુવતીને ભગાડીને પ્રેમલગ્ન કરી લીધાનાં મનદુ:ખમાં ત્રણ મહિલાઓએ યુવકના વૃદ્ધ પિતાને સરાજાહેર ધોકા વડે ઢોર માર મારીને નિર્મમ હત્યા કરી હતી. જેની બાદ પોલીસે આ ત્રણ મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાયર્વાહી કરી હતી. જ્યારે આ કેસમાં એક આરોપી મહિલાના નિયમિત જામીન અદાલતે નામંજૂર કર્યાં છે.
આરોપીનો પુત્ર રામ જન્મથી દિવ્યાંગ હોવાનું કારણ દર્શાવાયું
આ અંગે મળતી માહિતી મુજબ હત્યા કેસના આરોપી મહિલા રાજબાઇ વિરમ સાકરિયાએ સેશન્સ અદાલતમાં નિયમિત જામીન મેળવવા અરજી દાખલ હતી. જેમાં આરોપીનો પુત્ર રામ જન્મથી દિવ્યાંગ અને માનસિક બીમારીથી પીડાય છે. તેમજ તેની સારવાર ચાલુ છે. જેમાં અરજદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં હોતાં તેની દેખભાળ થઇ શકતી નથી તેવી રજૂઆત કરવામાં આવી.
આરોપી મહિલાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી
જ્યારે સામા પક્ષે વિરોધ દર્શાવી જણાવ્યું કે, પરિવારના અન્ય સભ્યો આરોપીના પુત્રની સારી દેખભાળ રાખે છે. જામીન પર મુક્ત કરાશે તો સાહેદોને ડરાવે, ધમકાવે અને ફરિયાદ પક્ષના કેસને નુકસાન કરે તેવી શક્યતા દર્શાવી હતી. તમામ પાસા પર વિચાર કરીને આરોપી મહિલાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.