ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ત્રણ આઈએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તાજેતરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે બદલી થઈ છે તેવા ડો. રાજેન્દ્ર કુમારને વડોદરાના સરકારી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેકટરની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજુકમાર બેનીવાલ - મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કમિકલ્સ લિમિટેડ, ભરૂચને હાઉસિંગ અને નિર્મળ ગુજરાતના સચિવ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કે એલ બચાણી - માહિતી કમિશનર, ગાંધીનગરને નાગરિક ઉડ્ડયન કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની શરૂઆતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા અનેક આઈએએસ અધિકારીઓને બઢતીની ભેટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા કુલ 5 આઈએએસ અધિકારીઓને એપેક્સ સ્કેલમાં, 2 અધિકારીઓને હાયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં અને 7 અધિકારીઓને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય 35 અધિકારીઓને પણ સિલેક્શન ગ્રેડ, જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અને સીનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી હતી.
મુખ્ય ફેરફારોમાં 1996 બેચના 5 વરિષ્ઠ સચિવોને હવે અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મોના ખંધાર, નાણાં વિભાગના ડો. ટી. નટરાજન, આરોગ્ય વિભાગના રાજીવ ટોપનો, ઉદ્યોગ અને ખાણ વિભાગના મમતા વર્મા તથા શિક્ષણ વિભાગના મુકેશ કુમારનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ હવે તેમના સંબંધિત વિભાગોમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. આ સાથે જ 2001 બેચના આરતી કંવર અને વિજય નહેરાને પ્રિન્સિપાલ સેક્રેટરીના રેન્કમાં બઢતી આપવામાં આવી છે.