ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે.
માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં
-કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા
-આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું જેથી પાક નુકશાનીથી બચી શકાય.
-ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવો
-જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો
-એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
-એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા
આ ઉપરાંત એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જેથી નુકશાની અટકાવી શકાય