ગાંધીનગરઃ બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ટાઈપ-1 ડાયાબિટીસ ગ્રસ્ત એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહી જાય તે માટેની સઘન વ્યવસ્થાની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નેમ વ્યક્ત કરી હતી. ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી ગાંધીનગરથી પ્રારંભ કરાવતા મુખ્ય પ્રધાને કહ્યું, રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા-સંભાળ યોજના શરૂ કરી છે. એટલું જ નહીં, લોકો નિરોગી રહે તે માટે યોગના પ્રચાર-પ્રસારને પણ મહત્વ આપ્યું છે. આમ છતાં જો કોઈને ગંભીર બીમારી આવે તો આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર માટે પડખે ઉભી છે. યોગથી આયુષ્માનની તેમની આ આગવી સંકલ્પના છે એમ મુખ્ય પ્રધાને ઉમેર્યુ હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્ય સરકારે પણ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે. રાજ્યવ્યાપી અભિયાનના આ આરંભ અવસરે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કિટનું વિતરણ કરતાં કહ્યું કે, આવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિ:શુલ્ક ઈન્જેક્શનો તથા ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્ય સંભાળ માટે પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ ત્રણેય પર ફોકસ કર્યુ છે. રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.
આ તપાસ દરમિયાન જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર જણાય તો સરકારી હોસ્પિટલોમાં રિફર કરીને કિડ્ની, હ્રદય રોગ, કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર વિના મુલ્યે રાજ્ય સરકાર આપે છે. પાછલા 11 વર્ષોમાં 2 લાખ 18 હજાર કરતાં વધુ બાળકોને આવી સારવાર આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્ય પ્રધાને કહ્યું કે, હવેની લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસફુલ જીવનશૈલીના કારણે પુખ્ત અને યુવા વયમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને તે દૂર કરી શકાય તેમ જણાવતાં મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વધતી જતી મેદસ્વિતા બાબતે લોકોને સાવચેત થવા ભોજનમાં 10 ટકા તેલનો ઉપયોગ ઘટાડવા અને નિયમિત વ્યાયામને જીવનનો ભાગ બનાવાવાની અપીલ કરી છે તેને સૌ લોકો અપનાવે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે વિકસિત ભારત @ 2047ના વડા પ્રધાને આપેલા સંક્લ્પને સ્વસ્થ, તંદુરસ્ત અને સમૃદ્ધ વિકસિત ગુજરાતથી સાકાર કરવા પણ આહવાન કર્યુ હતું.