Thu Dec 25 2025

Logo

White Logo

અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે ગુજરાત સરકાર કટિબદ્ધઃ : વન-પર્યાવરણ પ્રધાનનો દાવો

9 hours ago
Author: Vimal Prajapati
Video

મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું કે અરવલ્લી પહાડીઓમાં ખનનની ક્યારેય મંજૂરી અપાશે નહીં…

ગાંધીનગરઃ અરવલ્લી પર્વતમાળાનો વિવાદ અત્યારે ઉગ્ર બની રહ્યો છે. હજારો લોકોએ અરવલ્લી બચાવોનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર તરફથી મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે હોવાનો અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો છે.

અરવલ્લી પહાડીઓનું સંરક્ષણ કરાશે

વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે, જે મુજબ સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને 'પર્વત' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે. આ ઉપરાંત, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે અથવા વધુ પર્વતોની વચ્ચેના 500 મીટર સુધીના તમામ વિસ્તારને પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે.

પર્યાવરણનું જતન સરકારનો ઉદ્દેશ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સંરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન્સ, રિઝર્વ એરિયા, વેટલેન્ડ્સ અને કેમ્પા (CAMPA) વાવેતર સાઇટ્સ જેવા 'કોર અને ઇન્વાયલેટ' ઝોન્સમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવાનો છે, જેથી ભાવિ પેઢીને સુરક્ષિત અને હરિયાળું ગુજરાત મળી શકે. અરવલ્લી પર્વતમાળા એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે રણને આગળ વધતું અટકાવવા માટે કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને ભૂગર્ભ જળના રિચાર્જ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

7 જિલ્લામાં 3,25,511 હેક્ટર વન વિસ્તાર

'અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ'નો ઉલ્લેખ કરતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ 3,25,511 હેક્ટર વન વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કવર વધારવા માટે વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,426 હેક્ટર વિસ્તારમાં 86.84 લાખ સ્થાનિક પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ સાથે 150 હેક્ટર વિસ્તારમાંથી ગાંડા બાવળ અને લેન્ટાના જેવી આક્રમક વનસ્પતિઓ દૂર કરવામાં આવી છે. આગામી વર્ષ 2026-27 દરમિયાન આ પ્રોજેક્ટ હેઠળ આશરે 4,789 હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે.