મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે અમરાવતી જિલ્લાના ચિખલદરા ખાતે મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમની માલિકીની ત્રણ એકરથી વધુ જમીન શ્રી અંબાદેવી મંદિર ટ્રસ્ટને ફાળવવાની મંજૂરી આપી છે.
શ્રી અંબાદેવી ટ્રસ્ટે ધાર્મિક સ્થળોના વિકાસ માટે જમીન માંગી
આ જમીન લગભગ 7.5 એકર જમીનનો હિસ્સો છે. જે વર્ષ 1975માં મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમને પ્રવાસન માળખાના વિકાસ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.તેથી ચિખલદરા ખાતે દેવી પોઈન્ટ અને વિરાટ દેવી મંદિરોનું સંચાલન કરતી શ્રી અંબાદેવી ટ્રસ્ટે ધાર્મિક સ્થળોના વિકાસ માટે જમીન માંગી હતી.
જમીનનો ઉપયોગ ફક્ત ધાર્મિક હેતુઓ માટે જ થઈ શકશે
કેબિનેટના નિર્ણય મુજબ જમીન મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમ પાસેથી પરત લેવામાં આવશે. તેની બાદ તેને ઓક્યુપન્સી ક્લાસ-II દરજ્જા હેઠળ ટ્રસ્ટને મફતમાં ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે જમીનનો ઉપયોગ ફક્ત ધાર્મિક હેતુઓ માટે જ થઈ શકશે.