નવી દિલ્હી: ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે કેરળના તિરુવનંતપુરમથી સંસદ શશી થરૂર કોંગ્રેસથી છેડો ફાડી શકે છે, એવામાં તેમને ‘વીર સાવરકર એવોર્ડ’ આપવાના અહેવાલો વહેતા થતા આ અટકળોએ જોર પકડ્યું હતું. હવે શશી થરૂરે સ્પષ્ટતા કરી છે કે તેઓ આવો કોઈ એવોર્ડ સ્વિકારશે નહીં. તેમણે કહ્યું તેમને ગઈકાલે જ આ એવોર્ડ વિષે ખબર પડી.
અહેવાલ મુજબ વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025નો સમારોહ આજે સાંજે નવી દિલ્હીના NDMC કન્વેન્શન હોલમાં યોજાશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સમારોહનું ઉદ્ઘાટન કરશે અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ આ સમારોહમાં હાજરી આપશે.
અગાઉ આહેવાલ હતાં કે થરૂરને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે અને તો આ સમારોહમાં હાજરી આપશે. જેને કારણે કોંગ્રેસ સાથે થરૂરના અણબનાવની અટકળોને વેગ મળ્યો હતો. કેરળના કોંગ્રેસના દિગ્ગજ નેતા કે મુરલીધરને કહ્યું કે થરૂર આ એવોર્ડ સ્વિકારશે તો કોંગ્રેસનું અપમાન થશે.
શશી થરૂરની સ્પષ્ટતા:
અટકળોનો અંત લાવતા થરૂરે સ્પષ્ટતા કરી કે તેઓ આ એવોર્ડ સમારોહમાં હાજરી નહીં આપે. તેમણે કહ્યું, "એવોર્ડના હેતુ, તે રજૂ કરતી સંસ્થા અથવા અન્ય કોઈ વિગતો વિશે સ્પષ્ટતાના અભાવે, હું આ કાર્યક્રમમાં હાજરી આપવાનો નથી, એવોર્ડ સ્વીકારવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી."
શશી થરૂરે એમ પણ કહ્યું કે ગઈકાલે તેઓ કેરળમાં હતા, ત્યારે મીડિયા રિપોર્ટ્સ મારફતે તેમને આ એવોર્ડ વિશે જાણ થઇ.
આયોજકોની ઝાટકણી કાઢી;
આ એવોર્ડના આયોજકોની ઝાટકણી કાઢતા શશી થરૂરે કહ્યું, “મેં એવોર્ડ સ્વીકારવાની સંમતિ આપ્યા વિના મારું નામ જાહેર કરવું એ આયોજકો ભરવામાં આવેલું બેજવાબદારીપૂર્ણ પગલું છે."
સાવરકર ભાજપના આદર્શ:
નોંધનીય છે કે ભાજપ અને અન્ય જમણેરી પક્ષો હિન્દુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકરને સ્વાતંત્ર્ય સેનાની માને છે, પરંતુ રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના નેતા અવારનવાર સવાલ ઉઠવી ચુક્યા છે કે સ્વતંત્રતા સંગ્રામમાં સાવરકરનો કોઈ યોગદાન ન હતું. એવા પણ અહેવાલો છે કે મહાત્મા ગાંધીની હત્યાના આયોજનમાં સાવરકરે સક્રિય ભાગ ભજવ્યો હતો.