અમદાવાદઃ સુભાષ બ્રિજ મામલે અગત્યના સમાચાર મળ્યાં છે. રૂપિયા 250 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ નવા 2-2 લેન નવો બ્રિજ બનાવવામાં આવશે. સુભાષ બ્રિજને નવું સ્વરૂપ આપવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રકચર દૂર કરવામાં આવશે અને નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર સ્ટ્રકચર દૂર કરવું જરૂરી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી 9 મહિના સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આગામી 9 મહિના સુધી સુભાષ બ્રિજ બંધ રહેવાનો છે. નવા બ્રિજ માટે નવા પીલર બનાવવામાં આવશે. વર્તમાન બ્રિજનું આયુષ્ય 50થી વધારે થઈ ગયું છે. નવા 7 પીલર બનાવવામાં આવશે. નવા બ્રિજનું કામ બે ફેઝમાં કરવામાં આવશે. 9 મહિના બાદ નવો બ્રીજ તૈયાર કરીને તમામ વાહનો માટે બ્રિજ ખુલ્લો મુકાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ સોમવારે નવો બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.
રાણીપ અને શાહીબાગને જોડવા માટે મહત્વનો બ્રિજ
બ્રિજની વાત કરવામાં આવે તો, મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ઇન્સપેકશન કરનારી એજન્સીએ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે, સુભાષ બ્રિજ સારી કન્ડિશન છે. આ બ્રિજ ઈન્સપેકશનનો આ રિપોર્ટ જુલાઈ મહિનામાં આવ્યો હતો. અમદાવાદનો સુભાષ બ્રિજ રાણીપ અને શાહીબાગને જોડવા માટે મહત્વનો બ્રિજ છે, જેને 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરવામાં આવેલો છે.
આ બ્રિજને 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી પણ મહિનાઓ સુધી બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે કારણે રૂપિયા 200 કરોડના ખર્ચે નવા 2-2 લેન બ્રિજ બનાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 36 બ્રિજનું રિપેરિંગ કામ અને કલર કામ કરવા પાછળ 35 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. થોડા સમય પહેલા જ સુભાષ બ્રિજના ફૂટપાથને રિપેર કરવા અને થીક્સ ટ્રોપિક પેચવર્ક માટે પણ 25 લાખ રૂપિયા ખર્ચ્યાં હતાં.