Mon Dec 08 2025

Logo

White Logo

સુરેન્દ્રનગરમાં મીયાવાકી જાપાનીઝ પધ્ધતિથી : 42 હેક્ટર જમીનમાં 1 લાખથી વધુ વૃક્ષોનું વવાશે

4 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1 હેક્ટરે માત્ર 5 વૃક્ષ જ છે. જે ખૂબ ચિંતાની બાબત છે ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરાઈ રહ્યું છે. પરંતુ મહાનગર પાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન છાત્રાલય પાસેની 42 હેક્ટર જમીન જે ઘણા સમયથી પડી હતી એટલે જગ્યાના વિકાસ માટે પસંદગી કરી આ જગ્યામાં 1 લાખ વૃક્ષ અને તે પણ મીયાવાકી પધ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. 

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વર્તમાન સમયે વૃક્ષોનું વાવેતર કરાયું છે. છતા હજુ પણ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોવાને કારણે શુધ્ધ હવા મળતી નથી. આ માટે મનપાએ મુળચંદ રોડ ઉપર આવેલા મોઘીબેન છાત્રાલય પાસે 1 લાખ વૃક્ષો અને તે પણ મીયાવાકી જાપાનીઝ પધ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે.

હાલના સમયે મનપાની જમીનમાં બાવળ કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અંદાજે 2 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. વૃક્ષોનો ઉછેર થઇ ગયા બાદ અહીંયા ઓક્સિજન પાર્ક પણ બનાવાશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. 

પક્ષીવિદ્, પર્યાવરણ પ્રેમી દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે, જિલ્લામાં લીંબડો, પોપળો, વડ, કણઝી સહિતના વૃક્ષોનું વધુ વાવેતર થાય છે અને આ વૃક્ષોને આપણી જમીન અનુકુળ છે. લીંબડો દિવસમાં 180 લીટર જેટલો ઓક્સિજન, પીપળો 200થી વધુ લીટર જ્યારે આંબા 140થી 150 લીટર ઓક્સિજન આપે છે. એક વૃક્ષને પરીપકવ થતા 3 વર્ષથી 5 વર્ષ સુધીનો સમય લાગે છે.