મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ ચાલી રહ્યા છે, તેમાંય વળી બહુપ્રતિક્ષિત કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ થવાને આરે છે. આ કામ પૂર્ણ થયા પછી બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે 22 નવી ફેરીનો વધારો થઈ શકે છે. લોકલ ટ્રેનની વધતી અનિયમિતા અને વધુ સર્વિસ મળવાથી પ્રવાસીઓને લોકલ ટ્રેનમાં ઓછી ભીડનો સામનો કરવો પડી શકે.
નવી ફેરીનો નવા ટાઈમટેબલમાં સમાવેશ કરી શકાય
જાન્યુઆરીથી લોકોને આ સુવિધા મળવાનું શરૂ થવાની અપેક્ષા છે. આ સુવિધા ટૂંક સમયમાં નવા સમયપત્રકમાં સામેલ થઈ શકે છે. પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે કામ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવામાં આવી રહ્યું છે. ઉપનગરીય રેલ નેટવર્કમાં મુસાફરોની ક્ષમતા વધારવાના લાંબા સમયથી પડતર કાર્યને પણ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
18 જાન્યુઆરી સુધીમાં કામ પૂરું કરવાનો આશાવાદ
આ કામ 18 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે ત્યાર બાદ લાઇનની ફિટનેસ તપાસ અને અન્ય જરૂરી કામગીરી કરવામાં આવશે. રેલવેના દાવાઓ છતાં આમાં થોડો સમય લાગશે. આ સેવા ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં કાર્યરત થઈ શકે છે. છઠ્ઠી લાઇન બાંદ્રા ટર્મિનસ અને બોરીવલી વચ્ચે લાંબા અંતરની ટ્રેનોને ઉપનગરીય સેવાઓ માટે અલગ લાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી ટ્રેનના સમયમાં સુધારો થશે, સલામતી વધશે અને હાલના ટ્રેક પર ભીડ ઓછી થશે તેવી અપેક્ષા છે.
રદ થયેલી ટ્રેનોએ પ્રવાસીઓની મુશ્કેલી વધારી
રવિવારે બપોરે પશ્ચિમ રેલ્વેના મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કાંદિવલી અને બોરીવલી વચ્ચે ચાલી રહેલા માળખાગત કામને કારણે આખા દિવસમાં આશરે 235 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આની સીધી અસર મુખ્ય ગીચ સ્ટેશનો પર પડી હતી, જ્યાં પ્લેટફોર્મ પર સામાન્ય દિવસો કરતાં વધુ મુસાફરોની ભીડ જોવા મળી હતી.
સોમવારે પણ પ્રવાસીઓને પડી હાલાકી
રવિવારના માફક આજે પણ અનેક ટ્રેન રદ કરવાની સાથે અચાનક શોર્ટ ટર્મિનેટ કરવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. બોરીવલી, કાંદિવલી સહિત અન્ય સ્ટેશન પર પણ પ્રવાસીઓને પ્લેટફોર્મ પર ચાલવાની તકલીફ પડી હતી. પ્લેટફોર્મ 8 અને 9, 29 ડિસેમ્બર સુધી બંધ હોવાને કારણે બાકીના પ્લેટફોર્મ પર પ્રવાસીઓની વધારે ભીડ જોવા મળી હતી.
બોરીવલીમાં મોટા ભાગની ટ્રેનો રદ કરવાથી પ્રવાસીઓ માટે વિરારથી ચર્ચગેટ જવાનું વધુ હાલાકીભર્યું રહ્યું હતું. ટ્રેનો 20-25 મિનિટ મોડી ચાલી રહી હતી અને મુસાફરોની સંખ્યા વધતી જતી હતી. પરિણામે, સામાન્ય દિવસો કરતાં પણ વધુ ભીડ હતી. બાળકોની શાળામાં રજાઓ પણ ચાલી રહી છે. જેને કારણે વધુ લોકો ફરવા માટે નીકળ્યા હતા. આ પણ ભીડનું એક કારણ હોઈ શકે છે.