Mon Dec 08 2025

Logo

White Logo

ભારતીય સમાજ વિશ્વનો સૌથી વધુ વંશવાદી સમાજ! : કર્ણાટક હાઈકોર્ટે આવું અવલોકન કેમ કર્યું?

19 hours ago
Author: Savan Zalariya
Video

બેંગલુરુ: યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલીયા કે યુરોપના દેશોમાં વસતા ભારતીયોને વંશવાદ અને રંગભેદનો સામનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. એવામાં કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે એક કેસની સુનાવણી દમિયાન મૌખિક રીતે અવલોકન કરતા કહ્યું કે ભલે ભારતીયો ઘણીવાર અન્ય લોકો પર વંશવાદ અને રંગભેદનો આરોપ લગાવે છે, પણ ભારતીય સમાજ વિશ્વના સૌથી વંશવાદી સમાજોમાંનો એક છે.

જાણીતા ન્યુઝ એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય કેસની સુનાવણી દરમિયાન શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું. સુધીર ચૌધરીએ વર્ષ 2023માં તેમના વિરુદ્ધ દાખલ થયેલા ‘હેટ સ્પિચ’ના કેસને રદ કરવાની માંગ કરી હતી. સુધીર ચૌધરી પર આરોપ હતો કે તેણે કર્ણાટક સરકારની સ્વાવલંબન સારથી યોજના અંગે ટીવી ચેનલ પર ખોટા અને ભડકાઉ અહેવાલો ચલાવ્યા હતાં. 

માણસ ફક્ત એક જ પ્રજાતિ છે:

ન્યાયાધીશ અરુણે કહ્યું કે ભારતીય સમુદાય સાથે સમસ્યા એ છે કે આપણે એ નથી સમજી શકતા નથી કે માણસ ફક્ત એક જ પ્રજાતિ છે, જે હોમો સેપિયન્સ છે. આપણે વિશ્વના સૌથી વંશવાદી સમાજોમાંના એક છીએ. આપણે અન્ય સમાજો પર વંશવાદ અને રંગભેદનો આરોપ લગાવીએ છીએ, પરંતુ સત્ય એ છે કે આપણે બીજા કોઈથી ઓછા નથી.

લાયકાત કરતા જાતિને પ્રાથમિકતા!

ભારતીય સમાજ રચના વિષે નારજગી વ્યક્ત કરતા ન્યાયાધીશ અરુણે કહ્યું કે સમાજમાં આ વલણને આધારે જ રાજકીય પક્ષો નેતાઓની પસંદગી કરે છે. આપણે દરેક સમુદાયને એક અલગ પ્રજાતિ માનીએ છીએ અને એ મુજબ તેમની સામે ભેદભાવ કરીએ છીએ. આ કારણે ચૂંટણીમાં ટિકિટ આપતી વખતે, રાજકીય પક્ષો ઉમેદવારના સમુદાયને તેમની લાયકાત કરતાં વધારે પ્રાથમિકતા આપે છે. લોકો કહે છે કે નેતાઓ ભ્રષ્ટ છે, પરંતુ હકીકત એ છે કે લોકશાહીમાં, જનતાને એવા નેતા મળે છે જે ને તેઓ લાયક હોય છે.


કોર્પોરેટ ક્ષેત્ર એ નવ-વસાહતીવાદ:

ભારતમાં કોર્પોરેટ ક્ષેત્ર અંગે ટીપ્પણી કરતા ન્યાયાધીશ અરુણે કહ્યું, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માત્ર કેટલાક હજાર સૈનિકોએ આપણને ગુલામ બનાવ્યા, કેમ કે તે સમયે આપણામાં ભારતીયતાની ભાવના ન હતી. 200 વર્ષની ગુલામી વેઠ્યા બાદ બાદ ભારતીયોમાં આ ભાવના જન્મી અને આપણે અંગ્રેજોને ખદેડી દીધા પરંતુ હવે ખાનગી કંપનીઓ અને કોર્પોરેટ સેક્ટરો દ્વારા નવ-વસાહતીવાદ (Neo-Colonialism) શરૂ થયો છે. આજે આપણે માણસોને એક માણસ તરીકે ન જોવાની, જૂની માનસિકતા તરફ પાછા ફર્યા છીએ.