CSMIAએ કાર્યક્ષમતા વધારવા અને ફ્લાઇટના વિલંબને ઘટાડવા માટે રેકોર્ડ સમયમાં નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું
મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઈએ)એ તેના હવાઈ માળખામાં મોટા અને જરૂરી સુધારા કર્યા છે. એરપોર્ટ પર તાજેતરમાં એક નવું 'ટેક્સીવે એમ' લોન્ચ કરવામાં આવ્યું છે. આનાથી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક મુંબઈ એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી વધુ મજબૂત બનશે.
મુંબઈ એરપોર્ટ દરરોજ સરેરાશ 950થી વધુ વિમાનની અવરજવર (એટીએમ) સંભાળે છે. અત્યાર સુધીમાં મુખ્ય રનવે 09/27 માટે ફક્ત એક જ સમાંતર ટેક્સી-વે (પીટીટી એન-એન1) ઉપલબ્ધ હતો. જોકે, વધતા ટ્રાફિક અને જાળવણી માટે મર્યાદિત સમય હોવાથી, બીજા સમાંતર ટેક્સીવેની સખત જરૂર હતી. 'ટેક્સીવે એમ' એ આ જરૂરિયાત પુરી કરી છે.
એરક્રાફ્ટ ટેક્સીનો સમય (રનવેથી ટર્મિનલ સુધીનો સમય) ઘટાડવામાં આવશે, જેના કારણે વિમાનનું આગમન અને પ્રસ્થાન ઝડપી બનશે. રનવે પર વિમાનોની ઝડપી ગતિવિધિને કારણે એરલાઇન્સ માટે સમયસર ફ્લાઇટ્સ ચલાવવાનું સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ વિમાનોને જમીન પર તેમના એન્જિન ચાલુ રાખીને વધુ રાહ જોવી પડશે નહીં, જેના પરિણામે બળતણની બચત થશે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે.
ટેક્સી-વે એમનું બાંધકામ અત્યંત પડકારજનક હતું. એરોડ્રોમ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટીંગ (એઆરએફએફ) બિલ્ડીંગ, જે ફાયર વિભાગની ઇમારત છે, તે રસ્તામાં અવરોધ હતી. આ સમસ્યાને દૂર કરવા માટે, એરપોર્ટ વહીવટીતંત્રે જૂના ફાયર સ્ટેશનની ઇમારતને સ્થાનાંતરિત કરી.
કટોકટીની પરિસ્થિતિઓને સંભાળવા માટે એક કામચલાઉ ફાયર સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું. આ કામ ખૂબ જ સંવેદનશીલ વાતાવરણમાં પૂર્ણ થયું હતું જેમાં ત્રણ બાજુ ટેક્સીવે અને એક બાજુ રનવે હતા. વરસાદની ઋતુ અને કુદરતી પડકારો છતાં, કામ ફક્ત 240 દિવસના રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું.