Tue Dec 16 2025

Logo

White Logo

ગ્રામસેવિકાને ધમકાવવાના કેસમાં : સાત વર્ષે બે આરોપી કસૂરવાર

2 hours ago
Author: Yogesh C Patel
Video

પાલઘર: પાલઘર જિલ્લામાં 2018માં ગ્રામસેવિકાને ધમકાવવાના કેસમાં કોર્ટે બે આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા, જ્યારે મારપીટ અને સરકારી કર્મચારીનું અપમાન કરવા સંબંધી ગંભીર આરોપોમાંથી તેમને મુક્ત કરાયા હતા.

એડિશનલ સેશન્સ જજ એ. આર. રહાણેએ આદેશમાં આરોપીઓને જેલમાં બિનજરૂરી રીતે મોકલવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને તેમના પર પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

ઘટના 25 સપ્ટેમ્બર, 2018ના રોજ બની હતી. ગ્રામસેવિકાએ પાલઘર જિલ્લાના ખારશેત ખાતેની હાઉસિંગ સ્કીમ માટે સર્વે હાથ ધર્યો હતો.

લિસ્ટમાં નામ ન હોવાથી આરોપી જયશ્રી જગન ધનવા અને શિવદાસ ગંગારામ તાંબડીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઉદ્ધત વર્તન કર્યું હતું. તાંબડીએ ગ્રામસેવિકાનો મોબાઈલ ફોન આંચકી લઈ તેને તોડી નાખ્યો હતો, એવું તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું.
આ પ્રકરણે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353, 504, 506, 427 અને 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ એ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે કે ઘટના સમયે ફરિયાદી કાયદેસર રીતે ફરજ બજાવતી હતી. કલમ 353નો મહત્ત્વપૂર્ણ મુદ્દો સિદ્ધ થતો નથી.
ફરિયાદીનો મોબાઈલ ફોન તોડવા સહિત આરોપીના કૃત્યને આધારે કોર્ટે તેમને આઈપીસીની કલમ 506 અને 427 હેઠળ કસૂરવાર ઠેરવ્યા હતા. (પીટીઆઈ)