Sun Dec 14 2025

Logo

White Logo

ફડણવીસને રોકવાનો અમિત : શાહનો પ્રયાસ: સંજય રાઉત

17 hours ago
Author: Vipul Vaidya
Video

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વધતા રોકવા શિંદેને મજબૂત બનાવવામાં આવી રહ્યાનો દાવો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમિત શાહ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રોકવા માગે છે એટલે તેઓ શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તાકાત આપી રહ્યા છે, એવો ચોંકાવનારો દાવો કરતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે એકનાથ શિંદે પાસે કોઈ તાકાત નથી, તેઓ ભાજપની તાકાત પર પોતાની બેઠકો ચૂંટી લાવવા માગે છે. જો શિંદે પાસે તાકાત હોત તો આટલી વખત અપમાનિત થયા બાદ પણ ફરિયાદો લઈને (રડતા રડતા) દિલ્હી અમિત શાહને મળવા જતા ન હોત.

સ્વાસ્થ્યની સમસ્યાઓના કારણે એક મહિનાથી રાજકારણથી દૂર રહેલા સંજય રાઉત ફરી એકવાર સક્રિય થયા છે. શનિવારે તેમણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિવિધ મુદ્દાઓ પર પોતાના મત માંડ્યા હતા અને મહાયુતિ પર આકરા પ્રહાર કર્યા હતા.

મહાયુતિ અંગે પૂછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપતા તેમણે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વારંવાર શિંદેને મુલાકાત માટે કેમ સમય આપતા રહે છે.


સંજય રાઉતે કહ્યું હતું કે, અમિત શાહ દેવેન્દ્ર ફડણવીસની શક્તિ વધવા દેવા માગતા નથી. તેઓ ફડણવીસને દિલ્હી તરફ આવવા દેવા માગતા નથી. આને કારણે, ફડણવીસ મહારાષ્ટ્રમાં શિંદેની જાળમાં વ્યસ્ત રહે એવી અમિત શાહની ઈચ્છા છે. શિંદે પાસે ક્યાંય સત્તા નથી. હું વારંવાર આ કહી રહ્યો છું. આ ભાજપના મતોમાં વધારો છે. તેમનું રાજકારણ પૈસાના જોરે ચાલી રહ્યું છે. બાકી એકનાથ શિંદે અને તેમની પાર્ટીનું ક્યાંય સ્થાન નથી. તેમને અમિત શાહ તરફથી ઇન્જેક્શન મળ્યું છે.

તેમને ડર છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભાજપની મહાયુતિ સામે ભેગા થયા છે. એવો સંદેશ આપવામાં આવ્યો છે કે મરાઠી લોકોના મત વહેંચવા માટે, કોઈપણ કિંમતે એકનાથ શિંદેને પોતાની સાથે લઈ આવો એવો દાવો કરતાં સંજય રાઉતે એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપનું સંગઠન આ મહાયુતિની વિરુદ્ધ છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે હાલમાં મહાયુતિમાં જે કંઈ થઈ રહ્યું છે તે ભાજપના કાર્યકર્તાઓની ઇચ્છા વિરુદ્ધ થઈ રહ્યું છે.