મુંબઈ: આગામી મહિને યોજાનારી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી કોંગ્રેસ સ્થાનિક મુદ્દાને કેન્દ્રમાં રાખીને લડશે અને મતદારો ભાજપના ધાર્મિક એજન્ડાથી ભરમાઈ નહીં જાય એમ મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતા ગાયકવાડે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારે બીએમસીમાં નિયુક્ત પ્રશાસક દ્વારા કેટલાક પસંદગીના કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓ માટે નાગરિક ભંડોળનો દુરુપયોગ કર્યો છે.
કોંગ્રેસ મુંબઈના વિકાસ અને તેના નાગરિકોના ભવિષ્ય માટે ચૂંટણી લડશે. પ્રશાસકના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારમાં વધારો થયો હતો, જ્યારે રહેવાસીઓ સારા રસ્તાઓ, પાણી પુરવઠો, સ્વચ્છ હવા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યા હતા.
વર્ષ ગાયકવાડે જણાવ્યું હતું કે ભાજપે લગભગ 25 વર્ષ સુધી બીએમસી પર શાસન કર્યું છે, જ્યારે મહાનગરપાલિકા હવે છેલ્લા ત્રણ વર્ષથી ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત પ્રશાસક દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન મુંબઈની બીએમસીની તિજોરીનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ તેમણે કર્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટની નોંધ લેવાનો અદાલતે ઇનકાર કર્યો છે, જે ભાજપના કોંગ્રેસ નેતૃત્વને બદનામ કરવાના પ્રયાસનો પર્દાફાશ કરે છે. તેમણે આરોપ કર્યો હતો કે ભાજપ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.