નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલી મનરેગા યોજનાનું નામ બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણય મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર આક્રમક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીને મહાત્મા ગાંધીના વિચારો અને ગરીબોના અધિકાર પ્રત્યે ભારે નફરત છે.
ગ્રામીણ લોકો માટે એક મહત્વપૂર્ણ આર્થિક સલામતી
રાહુલ ગાંધીએ મનરેગાને મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સ્વપ્નનું જીવંત સ્વરૂપ ગણાવ્યું અને કહ્યું કે તે લાખો ગ્રામીણ લોકોનું જીવન છે. તેમણે કહ્યું કે આ યોજના કોરોના દરમિયાન ગ્રામીણ લોકો માટે એક મહત્વપૂર્ણ આર્થિક સલામતી સાબિત થઈ છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદી હંમેશા આ યોજનાથી નાખુશ રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી તેને નબળી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન હવે મનરેગાને ભૂંસી નાખવા માટે કટિબદ્ધ છે.
મનરેગાના પાયામાં રહેલા ત્રણ મુખ્ય ઉદ્દેશ પણ જણાવ્યા
રાહુલ ગાંધીએ મનરેગાના પાયામાં રહેલા ત્રણ મુખ્ય ઉદ્દેશ પણ જણાવ્યા હતા. જેમાં પ્રથમ રોજગારનો અધિકાર: જે કોઈ કામ માંગે છે તેને તે મળશે. ગ્રામીણ સ્વતંત્રતા, ગામડાઓને પોતાની પ્રગતિ નક્કી કરવાની સ્વતંત્રતા છે અને નાણાકીય મોડેલ કેન્દ્ર સરકાર સમગ્ર શ્રમ ખર્ચ અને સામગ્રી ખર્ચના 75 ટકા પુરા પાડશે.
રાજ્યને આ યોજનાનો 40 ટકા ખર્ચ ઉઠાવવો પડશે
રાહુલ ગાંધીએ કહ્યું આ યોજનામાં બદલાવથી કેન્દ્ર સરકારનું નિયંત્રણ વધશે. તેમજ યોજનાના નિયમ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે. તેમજ રાજ્ય સરકારને આ યોજનાનો ખર્ચ ઘટાડશે અને રાજ્યને આ યોજનાનો 40 ટકા ખર્ચ ઉઠાવવો પડશે. તેમજ સરકારે કામના દિવસો વધાર્યા છે પરંતુ તેના વેતનમાં કોઈ વધારો નથી કર્યો.
ગ્રામીણ ગરીબોની સુરક્ષિત આજીવિકાને પણ બરબાદ કરશે
રાહુલ ગાંધીએ નવા બિલને મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે મોદી સરકારે બેરોજગારી દ્વારા ભારતના યુવાનોનું ભવિષ્ય પહેલાથી જ બરબાદ કરી દીધું છે. તેમજ હવે આ બિલ ગ્રામીણ ગરીબોની સુરક્ષિત આજીવિકાને પણ બરબાદ કરી દેશે.