મુંબઈ : દેશમાં ચાંદીના ભાવોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમાં સોમવારે પણ ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જેમાં ચાંદીનો ભાવ કિલોએ 2,54,000 રૂપિયા થયો હતો. જોકે, થોડી વારમાં જ ચાંદીના ભાવમાં અચાનક કડાકો નોંધાયો હતો. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 21,500 રૂપિયાનો ઘટાડો થયો હતો.
ચાંદીના ભાવમાં રૂપિયા 21,500 નો ઘટાડો
જેમાં એમસીએક્સ પર માર્ચ મહિનામાં ચાંદી વાયદાનો ભાવ આજે સવારે રૂપિયા 2,54,174 પ્રતિ કિલોનો રેકોર્ડ તોડ્યો ત્યારે એવું લાગતું હતું કે આ 2025 નું ચાંદીનું છેલ્લું ટ્રેડિંગ સત્ર હશે. પરંતુ બજારમાં પ્રોફિટ-બુકિંગ થતાં ભાવમાં કડાકો થયો અને રૂપિયા 2,32,663 પર આવ્યો હતો. ચાંદીના ભાવમાં રૂપિયા 21,500 નો ઘટાડો થયો હતો.
નિષ્ણાતોના મતે આ ઘટાડો અચાનક નથી પરંતુ તીવ્ર વધારા બાદ સામાન્ય કરેકશન છે. ઘણા વેપારીઓએ નફો મેળવવા માટે ચાંદીનું વેચાણ શરૂ કર્યું જેનાથી બજારમાં કડાકો જોવા મળ્યો હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં શરૂઆતમાં ચાંદી પર દબાણ આવ્યું. વૈશ્વિક ચાંદીના ભાવ શરૂઆતમાં 80 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યા હતા. પરંતુ પછી ઘટીને 75 ડોલર સુધી ઘટી ગયા હતા. જેના કારણે સ્થાનિક ભાવ પર અસર પડી. આ ફેરફાર યુક્રેન-રશિયા તણાવમાં ઘટાડો થવાના સંકેત મહત્વના છે.
ચાંદીના ભાવમાં વાર્ષિક 150 ટકાનો વધારો
ઉલ્લેખનીય છે કે ,છેલ્લા એક વર્ષમાં ચાંદીએ મજબૂત વળતર આપ્યું છે. ડિસેમ્બર 2024માં ચાંદીનો ભાવ આશરે રૂપિયા 90 લાખ પ્રતિ કિલો હતો. ત્યારથી ભાવમાં 150 ટકાથી વધુનો વધારો થયો છે. સોમવારે એમસીએકસ પર ચાંદીના ભાવ રૂપિયા 2,54,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા.
નિષ્ણાતો કહે છે કે ચાંદીના ભાવ ઘણા પરિબળોને કારણે વધી રહ્યા છે. ઔદ્યોગિક માંગમાં વધારો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા ચાંદીની માંગ વધારી રહી છે. ચાંદીની વધતી માંગ ખાસ કરીને ગ્રીન એનર્જી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલમાં ભાવમાં વધારામાં ફાળો આપ્યો છે.